આરએસએસના રજ્જુભૈયાના નામે ટ્રસ્ટ ખોલી 16 વર્ષમાં સાડા ચાર કરોડ ઉઘરાવનાર ટ્રસ્ટના તમામ એકાઉન્ટ ચેરિટી કમિશનરે સીઝ કર્યા છે તેમજ ટ્રસ્ટીઓ સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરી છે. આરએસએસે ઠરાવ કરી આ ટ્રસ્ટ લોકોને ગેરમાર્ગે દોરતું હોવાની ફરિયાદ ચેરિટી કમિશનરે કર્યા બાદ સમગ્ર મામલે કાર્યવાહી હાથ કરવામાં આવી છે.
ચેરિટી કમિશનર વાય.એમ. શુક્લએ કરેલા હુકમ પ્રમાણે સંસ્થાના પંજાબ નેશનલ બેંક અને અલાહાબાદ બેંકના બંને એકાઉન્ટ સીઝ કરી ચેરિટી કમિશનરના હુકમ સિવાય તેમાં કોઇ વ્યવહાર ન થાય તે જોવા આદેશ આપ્યો છે.સાથે એક ઇન્સ્પેકટરની નિમણૂંક કરી ટ્રસ્ટની મિનિટ બુક, કેસબુક, રિસીપ્ટ સહિતના તમામ દસ્તાવેજો જપ્ત કરવા આદેશ આપ્યો છે.એટલું જ નહીં તમામ બેંકિંગ વ્યવહાર પણ જપ્ત કરવામાં આવે.
આરએસએસના અમૃત કડીવાલા સહિત અન્યોએ ચેરિટી કમિશનર સમક્ષ ફરિયાદ કરી એવી રજૂઆત કરી હતી કે, ડો.રાજેન્દ્રસિંહ (રજ્જુભૈયા) ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આરએસએસના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. આ ટ્રસ્ટને આરએસએસ સાથે કોઇ લેવા દેવા નથી. તેમનો ટ્રસ્ટ ચલાવવાનો હેતુ જ છેતરપિંડી આચરવાનો હોય તેમ લાગી રહ્યું છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે યોગેશ ગુપ્તા, અનિલ ગુપ્તા, અજય ગુપ્તા, બ્રિજેશ ગુપ્તા, એ.કે. ગુપ્તા, ડો.ડીવીએસ સીકારવટનો સમાવેશ થાય છે.