રાજ્ય સરકારનાં પ્રવાસન નિગમ દ્વારા અમદાવાદ સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તારીખ 10 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર સુધી વિશ્વના સૌથી લાંબા ચાલનારા નૃત્ય મહોત્સવ નવરાત્રી 2018નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
નવરાત્રિ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ગણપત વસાવા, ઈશ્વર પટેલ, અમદાવાદના મેયર બીજલબેન પટેલ, સાંસદ કિરીટભાઇ સોલંકી, સાંસદ પરેશ રાવલની ઉપસ્થિતી રહેશે.
ગુજરાતમાં થતી ભવ્ય ઉજવણીને જોઈને હવે વિદેશમાં પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન બાબત છે.
આ વર્ષે થીમ પેવેલિયનમાં રાજ્યના વિવિધ આકર્ષણો પ્રદર્શિત કરાયા છે. આ ઉપરાંત છત્તિસગઢ તરફથી ક્રાફ્ટ સ્ટોલ્સ અને ફૂડ સ્ટોલની વ્યવસ્થા પણ કરાઈ છે.
દરરોજ રાત્રે 9 કલાકથી મધ્યરાત્રિ સુધી શેરી ગરબા પણ યોજાશે અને રોજ રાત્રે 11:45 મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.