અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા દિવાળીના તહેવારોમાં રાત્રે આઠથી દસ વાગ્યા સુધી જ ફટાકડાં ફોડવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના ભંગ બદલ બે દિવસ અગાઉ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ હવે રામોલ પોલીસ દ્વારા સોમવારે રાત્રે જાહેરનામાનો ભંગ કરવા બદલ વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ અમરાઇવાડી પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ દ્વારા રાત્રે આઠથી દસ દરમિયાન જ ફટાકડાં ફોડવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું બહાર પાડ્યા બાદ અમદાવાદ શહેરમાં આ જાહેરનામાના ધજાગરા ઉડાવતા કેટલાક કિસ્સા સામે આવી રહ્યા છે. સોમવારે રાત્રે શિવરંજની વિસ્તારમાં પોલીસની પીસીઆર વાનની સામે જ લોકોએ મોડી રાત્રે 12 વાગ્યા સુધી ફટાકડા ફોડ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જયારે એક તરફ શહેરના પૂર્વ વિસ્તારોમાં અત્યાર સુધીમાં જાહેરનામાનો ભંગ કરીને મોડી રાત્રે ફટાકડાં ફોડવા બદલ ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારના સામે આવેલા દ્રશ્યોના લીધે એવી ચર્ચા ઉઠવા પામી છે કે પોલીસ જાહેરનામાનું યોગ્ય નિયમન નથી કરી રહી કે પછી લોક લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને નરમાઈ વરતી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશના પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં અનુસાર રાત્રે આઠથી દસ વાગ્યા સુધી શહેરમાં જ ફટાકડા ફોડી શકાશે. એટલું જ નહીં જાહેરનામા મુજબ શેરી, ગલીઓ, જાહેર રસ્તાઓ કે ભીડવાળા વિસ્તારોમાં ફટાકડા ફોટી શકાશે નહીં. એક સાથે વધારે ફટાકડા એટલે કે ફટાકડાની સેર, અને વધારે અવાજ કરે તેવા ફટાકડાં પણ ફોડી શકાશે નહીં.