ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર-ર૧માં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં એક શિક્ષક દ્વારા કલાસમાં હાજર તમામ વિદ્યાર્થીઓનાં કાંડા ઉપર બાંધેલી રાખડીઓને કાપીને ઉતારી લેવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપેલી સૂચના બાદ શિક્ષણ વિભાગ દ્વારા આ ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને શાળા સંચાલકનો ખુલાસો પણ માગવામાં આવ્યો છે.
હિંદુ ધર્મમાં રક્ષાબંધન પર્વમાં ભાઈના દીર્ઘાયુ, સુખ-સમૃદ્ધિ માટે તેમજ પોતાની રક્ષા માટે બહેન દ્વારા પ્રેમપૂર્વક ભાઇના કાંડે રાખડી બાંધવામાં આવે છે. આ રક્ષાબંધનનો તહેવાર બે દિવસ અગાઉ ઉજવવામાં આવ્યો હતો. આ તહેવાર બાદ ગાંધીનગરમાં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં નાના ભૂલકાં સમાન એવા બાળકોના હાથ પર બાંધેલી રાખડીઓને કઢાવી નાખવામાં આવી હતી.
હદ તો ત્યારે થઈ ગઈ હતી કે, ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકોની હાથે બાંધેલી રાખડીઓ ન છૂટતાં શિક્ષિકાએ બળજબરી પૂર્વક કાતર વડે રાખડીને કાપી નાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વિનંતી કરતા રહ્યા હતા, પરંતુ શિક્ષિકા પોતાના મનસ્વી નિર્ણયમાં એકનાં બે ન થયાં હતા અને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્ર્રતિક એવી રાખડીઓને કાતર વડે શિક્ષિકા દ્વારા કાપી નાખી હતી. શિક્ષિકાના આવા જડતાપૂર્વકના વલણ સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષની લાગણી પ્રસરી છે.
શિક્ષિકાના આવા કૃત્ય બદલ તેની અને શાળા સંચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતા અને વાલીઓના આક્રોશને ધ્યાનમાં લઈને શિક્ષણ મંત્રી ચુડાસમાએ વિભાગને જાણ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાના પગલે શિક્ષણ વિભાગ દ્વારા આ ઘટના અંગે તાત્કાલિક ધોરણે તપાસ કરવાના આદેશ આપ્યા છે. એટલું જ નહિ આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને નોટિસ ફટકારીને આ ઘટના અંગેનો ખુલાસો માંગવામાં આવ્યો છે.
આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ ઘટના અનિચ્છનીય છે. આ પ્રકારનું કોઈ પણ કૃત્ય ચલાવી લેવાય નહીં. બાળકો અને વાલીઓ જ નહીં, સમગ્ર સમાજની લાગણી દુભાઇ છે. અમે શાળા સંચાલકો પાસે આ બાબતે ખુલાસો માંગ્યો છે. તેમનો ખુલાસો આવ્યા બાદ તેમની સામે શું પગલાં લેવાં? તે અંગેનો નિર્ણય કરવામાં આવશે.
આ ઘટના અંગે વાલીઓની ફરિયાદ છે કે, આ શાળામાં કોઇ હિન્દુ તહેવારની ઉજવણી કરવામાં આવતી નથી, પણ રાખડી પહેરીને આવેલા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા ધમકાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહના પ્રતિક સમાન પર્વ રક્ષાબંધનના સાક્ષીરૂપે વિધાર્થિનીઓ દ્વારા શિક્ષિકાને પણ રાખડી બાંધવામાં આવી હતી.