અમદાવાદ: મૂળ સોજીત્રાના વતની અને અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવનાર જાણીતા શિલ્પકાર પદ્મશ્રી કાંતિભાઈ પટેલે ૯૮ વર્ષની જૈફ વયે આજે સવારે તેમના નિવાસસ્થાને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.
અમદાવાદ કે ગુજરાતમાં જ નહિ પરતું સમગ્ર ભારત વર્ષમાં શિલ્પકાર તરીકે પ્રસિદ્ધિ પામનાર પદ્મશ્રી કાંતિભાઈ પટેલે આજે મંગળવારે સવારે સાડા આઠ વાગે પોતાના નિવાસ અને સ્ટુડિયો એવા શિલ્પ ભવન, ચીકુવાડી, ચાંદલોડિયા, અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.
તેમની અંતિમયાત્રા બપોરે 3-00 કલાકે શિલ્પ ભવન, ચીકુવાડી, ચાંદલોડિયા, અમદાવાદથી નીકળીને વાડજ સ્મશાન ગૃહ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી ત્રણ મહિના અગાઉ પદ્મશ્રી કાંતિભાઈ પટેલે દિલ્હી સ્થિત પોતાની 60 કરોડ રૂપિયાની મિલકતને દિલ્હી લલિત કલા અકાદમીને દાનમાં આપી દઈને પોતાની ઉદારતાનું ઉદાહરણ પૂરું પડ્યું હતું.
મહારાષ્ટ્રના વર્ધા ખાતેના ગાંધીજીના આશ્રમમાં મહાત્મા ગાંધીજી અને કસ્તુરબાની જે અર્ધ પ્રતિમા મૂકવામાં આવી છે તે પ્રતિમાને સદગત પદ્મશ્રી કાંતિભાઈ પટેલે બનાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સદગત પદ્મશ્રી કાંતિભાઈ પટેલે ૧૯૪૭માં નડિયાદ ખાતેની વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવીને મૂકી હતી, જેના સંદર્ભે તા. ૭-૪-૧૯૪૭ના સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કાંતિભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૯૬માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શિલ્પકાર કાંતિભાઈ પટેલનું સન્માન કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે તેમને પદ્મશ્રીનો એવોર્ડ આપીને તેમને સન્માનિત કરવામાં કરવામાં આવ્યા હતા.