પંચમહાલ,
પંચમહાલના કાલોલ તાલુકામાં વેજલપુરમાં વૃક્ષોનું નિંકદન નીકળી રહ્યું છે અને કલેક્ટરની પરવાનગી વગર આ વેપલો બેરોકટોક સ્થાનિક વનવિભાગના તંત્રની મિલિભગતથી ચાલે છે.
અંહી સરકારી જંગલોની જમીન ઉપરાંત ગ્રામ પંચાયત હસ્તરની ગૌચરની જમીનો આવેલી છે આવેલી છે ઉપરાંત ખેડૂતોની ખેતીલક્ષી અને ખરાબાની મોટી પડતર જમીનોમાંથી છેલ્લા ઘણા સમયથી કેટલાક ઈમારતી વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે. અંહી હજારો હેકટર પિયત અને બિનપિયત વિસ્તારોની ખેતીની જમીનો પણ આવેલી છે.
સરકારી અનામત જંગલોમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે કરોડો રૂપિયાના ખર્ચા કરીને વિશાળ જંગલો ઉછરેલા છે. જેમાં અનામત વૃક્ષો ગણાતા સાગ ઉપરાંત ખેર, બાવળ, મહુડો, સહિતના અનેક પ્રકારના ઈમારતી અને અનામત વૃક્ષો ઉછેરવામાં આવેલા છે.
આ વૃક્ષો હાલમાં પરિપકવ અને તોતિંગ થઈ ગયેલા છે. જેથી આ ઈમારતી લાકડાં મોડી રાતે કાપી નાંખવામાં આવે છે બારોબાર સરકારના આ રિઝર્વ ફોરેસ્ટમાંથી કીમતી લાકડાંઓ ટેમ્પો, ટ્રકો અને ટ્રેકટરોમાં ભરીને દાણચોરી કરી જતા હોવાની ફરિયાદો પણ ઊઠી છે.
ઉપરાંત આ લાકડા જિલ્લામાં ડેન્સો ચલાવતા લોકોને બારોબાર વેચી મારવામાં આવી રહ્યાની બૂમ પણ ઊઠી છે. છતાં વનવિભાગ મૌન ધારણ કરીને બેસી રહ્યું છે.આ તાલુકામાં ચાલી રહેલા વૃક્ષોના નિકંદન મામલે જિલ્લા કલેકટરે પગલા ભરવા જોઈએ તેવી માંગણી ઊઠવા પામી છે.