અમદાવાદ,
લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ મોદી તા.4 માર્ચના સોમવારે અને તા.5 માર્ચના મંગળવારે એમ બે દિવસ ગુજરાતમાં રહેશે. આ બે દિવસ દરમિયાન તેઓ અડધો ડઝન જેટલા કાર્યક્રમોમાં ભાગ લઈ અને જાહેરસભાઓ ગજવશે.
વડા પ્રધાન મોદી સોમવારે સવારે 11:30 વાગે સીધા જામનગર આવશે, જ્યાં તેઓ જોડિયા ખાતે સ્થપાનારો ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે, નવનિર્મિત ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે તથા જામનગર મહાનગરપાલિકા અને જાડા દ્વારા બનેલા આવાસોનું લોકાર્પણ કરશે
જામનગરથી તેઓ બપોરે ત્રણ વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી સાડા ત્રણ વાગે જાસપુરમાં કડવા પાટીદારોના ઉમિયા ધામ પહોંચશે, જ્યાં ઉમિયા ફાઉન્ડેશનના ઉપક્રમે કરોડોના ખર્ચે સર્જાનારા વિશ્વ ઉમિયા ધામનું ખાતમુહૂર્ત થશે. અહીં તેઓ લગભગ સવા કલાક હાજરી આપશે.
બાદમાં તેઓ સાંજે 5:30 વાગે અમદાવાદમાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેનમાં સફર કરી આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું લોન્ચિંગ કરશે. ત્યાંથી સાંજે ૬ વાગે તેઓ અસારવાની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવશે અને ત્યાં 1200બેડની નવી મોટી હોસ્પિટલનું તથા અન્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. અહીં તેઓ લગભગ બે કલાક હાજરી આપવાના છે.
વડા પ્રધાન બીજા દિવસે મંગળવારે સવારે 9:30 વાગે અડાલજમાં લેઉઆ પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત શ્રી અન્નપૂર્ણા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા તેમજ અન્ય પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભાગ લેશે. બાદમાં તેઓ સવારે 11:30 વાગે વસ્ત્રાલ પહોંચશે, જ્યાંથી તેઓ નવી શ્રમિક પેન્શન યોજનાનું રાષ્ટ્રીયસ્તરે લોન્ચિંગ કરશે. તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર બપોરે દોઢેક વાગે આવશે અને ઇંદોર જવા રવાના થશે.
`