અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર બેઠાં છે. ત્યારે BJP ના કેન્દ્રીયમંત્રી અને બનાસકાંઠાના સાંસદ હરી ચૌધરીએ અનામતના મામલે એક મોટું નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઇએ.
ખેડૂતોના દેવા માફી, પાટીદાર સમાજને લાભ અને અલ્પેશ કથીરિયાને જેલ મૂક્ત કરવાની માંગણીઓ સાથે હાર્દિક પટેલ દ્વારા ગત તા. 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ શરુ કર્યા છે, ત્યારે આજે ભાજપના કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ અનામત મામલે મોટું નિવેદન આપ્યું હતું.
એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા BJP સરકારના કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ જણાવ્યું હતું કે, “દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઇએ. 20થી 25 ટકા લોકોએ જ અનામતનો લાભ લીધો છે. જે લોકો એકવાર અનામતનો લાભ લે તે બાદ અન્ય સમાજને પણ અનામતનો લાભ મળવો જોઇએ.”
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને સમાજના આગેવાનો વચ્ચે 10 મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચા દરમિયાન પાસ તરફથી મનોજ પનારા, ધાર્મિક માલવિયા અને બ્રિજેશ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ તરફથી સમાજના આગેવાનો એવા સી.કે.પટેલ, દિનેશ કુંભાણી અને પ્રહલાદ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકની બીજી તરફ હાર્દિક પટેલ ઝડપથી પોતાના ઉપવાસ છોડી દેવામાં આવે તે માટેની કવાયત તેજ કરવામાં આવી છે.
આ બેઠક દરમિયાન વિવિધ પાટીદાર સંસ્થાઓના નેતાઓએ પાસના કન્વીનરોને સૂચના આપી હતી કે, આંદોલનને સમાજલક્ષી બનાવવામાં આવે. રાજકીય પક્ષો સાથે આંદોલન જોડાયેલું હોવાની છાપને ભૂંસી નાખવામાં આવે તેમજ પાસની અંદર રહેલા આંતરિક વિખવાદોને પણ ભૂલી જવામાં આવે. તે સાથે જ પાટીદાર સંસ્થાઓના નેતાઓએ પાસના કન્વીનરોને ખાતરી આપી હતી કે સામાજિક સંસ્થાઓ પણ તેમની સાથે જ છે.