અમદાવાદ: રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ચાર મહિના અગાઉ લાગેલી આગમાં રૂ. 20 કરોડના બારદાન સળગી ગયા હતા. આ દરમિયાનમાં ગુજકોટના રિજિયોનલ મેનેજર મગન ઝાલાવાડિયાની ધરપકડ કરવામાં આવ્યા તેના ઘરેથી બારદાનનો જથ્થો મળી આવ્યો હતો. આ બારદાન રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સળગી ગયેલા બારદાન પૈકીના બારદાન હોવાનું ફલિત થયું હતું. જે અંગે રાજકોટ પોલીસે શનિવારે મોડી સાંજે મગન ઝાલાવાડિયા સહીત આઠ શખ્સો સામે રૂ. 15.80 લાખના બારદાનનો જથ્થો વેચી માર્યો હોવાના મામલે તેમની સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં આજથી ચાર મહિના અગાઉ આગ લાગી હતી. જેમાં રૂપિયા 20 કરોડના બારદાન સળગી ગયા હતા. આ બારદાનકાંડની ઘટના બાદ પડધરી ખાતે ગુજકોટના સરકારી ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી.
આ ઘટનામાં ફરિયાદી એવા ગુજકોટના રિજિયોનલ મેનેજર મગન ઝાલાવાડિયા ખુદ આરોપી નીકળ્યા હતા. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. મગન ઝાલાવાડિયાની ધરપકડ બાદ પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન મગન ઝાલાવાડિયાના ઘરેથી ખાલી બારદાનનો જથ્થો મળી આવ્યો હતો. મગનના ઘરેથી મળેલા આ બારદાનનો જથ્થો રાજકોટ માર્કેટિંગ યાર્ડનો હોવાનું સ્પષ્ટ થયું હતું. જે અંગે પોલીસે વધુ તપાસ કરતા રાજકોટ માર્કેટિંગ યાર્ડની આગમાંથી બચી ગયેલા રૂપિયા 15.80 લાખના બારદાનનો જથ્થો મગન ઝાલાવાડિયા સહિત આઠ શખ્સોએ બારોબાર વેંચી નાંખ્યાનું સામે આવ્યું હતું. આ મામલે રાજકોટ બી ડિવીઝન પોલીસે આઠ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે રાજકોટ પોલીસ દ્વારા જે આઠ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમાં મગન ઝાલાવાડિયા, અમદાવાદ ગુજકોટના મેનેજર મનોજ, મનસુખ લિંબાસિયા, કાનજી ઢોલરિયા, નીરજ, પરેશ સખારવા, મહેશ પ્રધાનભાઇ અને અરવિંદ ઠક્કરનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર મહિના અગાઉ રાજકોટ જૂના માર્કેટ યાર્ડના શેડ-1 અને શેડ-2માં આગ લાગી હતી. આ આગમાંથી રૂ. 15.80 લાખના બારદાનનો જથ્થો બચી ગયો હતો. આ બહિ ગયેલા બારદાનના જથ્થાને ઉપરોક્ત આરોપીઓ બારોબાર વેચી નાંખ્યો હતો. એટલું જ નહી, તેમણે સરકારી રજિસ્ટરના પેઇજ ફાડીને પૂરાવાનો પણ નાશ કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
આ ઉપરાંત ઠગાઇના ઇરાદે ખોટું નવું રેકર્ડ તૈયાર કરી નાંખ્યું હતું. તેમજ બચેલા બારદાનના જથ્થાને કોઇ પણ અધિકારીની પરવાનગી વગર યાર્ડમાંથી કપટપૂર્વક મગન ઝાલાવાડિયાના નક્કી કરેલા સ્થળે લઇ જવામાં આવ્યા હતાં. આમ કાવત્રુ ઘડી આ તમામ આઠેય શખ્સોએ સરકાર સાથે છેતરપીંડી કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.