રાજકોટ,
રાજકોટના જસદણ તાલુકાના કનસેરા ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. ત્યારે આગામી તા. 23મી એપ્રિલના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવા માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભરત બોઘરાએ ગામની મુલાકાત લીધી હતી. જો કે ગ્રામજનોએ પાણી સહિતના મુદ્દે કુંવરજી બાવળિયાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમનો ઉધડો લેતા મત માંગવા નીકળેલા બન્ને નેતાઓએ નિરાશ થઇને પરત ફરવું પડ્યું હતું. આ બનાવને પગલે કોંગ્રેસના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર લલિત કથગરાએ ભાજપ અને કુંવરજી પર આકરા પ્રહાર કર્યા હતા. બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાનો બચાવ કરતા દોષનો ટોપલો ગ્રામપંચાયત પર ઢોળ્યો હતો.