અમદાવાદઃ BJP ના બે નેતાઓ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપનો કેસરિયો ખેસ ઉતારીને કોંગ્રેસનો પંજો પકડનાર આ નેતામાં રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગર અને પૂર્વ સંસદીય સચિવ શામજી ચૌહાણનો સમાવેશ થાય છે. બંને નેતાઓ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. આ બંને નેતાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
રંગીલા રાજકોટમાં રોજ એક હત્યા થાય છે: અશોક ડાંગર
નરેન્દ્ર મોદીના કહેવાથી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર અશોક ડાંગરે ફરીથી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે.
આ પ્રસંગે અશોક ડાંગરે જણાવ્યું હતું કે, “નરેન્દ્ર મોદીના વિકાસની વાતોમાં અનેક ઓબીસી નેતાઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ બક્ષીપંચમાં આવતા લોકોનો હજુ વિકાસ થયો નથી.”
રંગીલા રાજકોટની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પૂર્વ મેયર ડાંગરે કહ્યું હતું કે, “રાજ્યના મુખ્યમંત્રી રાજકોટ શહેરમાંથી આવે છે તો પણ આ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. શહેરમાં દરરોજ એક હત્યા એટલે કે વર્ષના 365 દિવસમાં 365 હત્યા થાય છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સાબરમતી નદીમાં પીએમ નરેન્દ્ર મોદીના માટે સી-પ્લેન ઉડાવવામાં આવ્યું હોવાથી રાજકોટને નર્મદાનું પાણી મળ્યું ન હતું.”
BJP સરકાર ખેડૂતો માટે ગંભીર ન હોવાનો શામજી ચૌહાણનો આક્ષેપ
ભાજપ છોડીને કોંગ્રેસનો તિરંગો ખેસ ધારણ કરનાર શામજી ચૌહાણે બીજેપી સરકાર પર અનેક મુદ્દે પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “ભાજપે બક્ષીપંચ સમાજ માટે કંઈ જ કર્યું નથી. વિકાસની માત્ર વાતો જ થાય છે પરંતુ હકીકતમાં વિકાસ થતો નથી.”
ખેડૂતોના પ્રશ્ને ચૌહાણે કહ્યું હતું કે, “સીએમને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં ખેડૂતોને પાક વીમાની રકમની ચૂકવણી કરવામાં આવતી નથી. ભાજપ સરકાર ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે બિલકુલ ગંભીર જણાતી નથી.”
પૂર્વ સંસદીય સચિવ શામજી ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, “ભાજપ માત્ર વિકાસની વાતો કરી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 10 થી 20 ટકા કાર્ય પણ થયું નથી. આરોગ્ય અને શિક્ષણ મામલે ફક્ત વાતો જ થઈ રહી છે. સરકારના મંત્રીઓ અને સીએમ એસી ચેમ્બરમાં બેસી રહે છે. 2012થી 2017 સુધી ભાજપ સરકારે માત્ર ખોટા વચનો જ આપ્યા છે. જેનો જવાબ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળી જશે.”