ગાંધીનગર,
રાજ્યમાં જળસંકટ સામે જળસંચયના કામોનું મહાઅભિયાન ગત તા. ૧ મેથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અલગ અલગ સ્થળોની મુલાકાત લઇને કામગીરીનો પ્રારંભ કરાવવાની સાથે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
જે અંતર્ગત સોમવારે મુખ્યમંત્રી રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ મારફત એકસાથે છ જિલ્લાના ગામોમાં ચાલતા જળ સંચયના કામો અંગેની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ જળસંચયની કામગીરીની સમીક્ષા માટે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. આ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ, જૂનાગઢ, દાહોદ,તાપી, નર્મદા અને સાબરકાંઠા જિલ્લાના ગામોમાં ચાલતા ચેકડેમ, નદીઓની સફાઇના કામોની મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમણે કામગીરીની સમીક્ષાની સાથે જળ સંચય અભિયાનના કામોમાં જોડાયેલા ગ્રામજનો, સરપંચ અને પંચાયતના સભ્યો સાથે સંવાદ પણ કર્યો હતો.
આ જળ અભિયાન અંતર્ગત વીડિયો કોન્ફરન્સ મારફત મુખ્યમંત્રી રૂપાણીએ પ્રથમ વાર ગ્રામજનો સાથે સીધો જ સંવાદ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અભિયાનમાં નિયમિત પણે વિવિધ સ્થળોએ જઇને સ્વયં શ્રમદાનમાં જોડાઈને લોકોને પ્રોત્સાહિત કરે છે.