રાજકોટ,
કરણીસેના દ્વારા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાની રાજપૂત કરણીસેનાના ગુજરાત મહિલા વિંગના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
આ તકે મિડિયા સાથે કરેલી વાતચીતમાં રિવાબાએ જણાવ્યું હતું કે, આ પદ સંભાળવાની ઓફર મળી ત્યારે જ રવિન્દ્રસિંહની અનુમતિ લીધી હતી.
તેમણે પણ કહ્યું કે, સમાજ અને દેશ માટે કરણીસેના દ્વારા કરાતા સારા કાર્યોમાં સહભાગી થવા મળ્યું એ સારી વાત છે. અને તમારે ચોક્કસ આવા કાર્યોમાં ભાગ લેવો જોઈએ. કરણીસેના માત્ર રાજપૂત સમાજ માટે નહીં કોઈપણ પીડિત માટે લડશે તેવો નિર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આ પદ મળવાથી જવાબદારીમાં વધારો થયો છે. આવનારા દિવસોમાં કરણીસેનાને ગામડા સુધી લઈ જઈને વધુ મજબૂત બનાવીશું. નાનામાં નાના ગામડામાં પણ કરણીસેના દ્વારા જાગૃત મહિલાઓની નિમણુંક કરવામાં આવશે અને માત્ર ક્ષત્રિય સમાજ માટે નહીં કોઈપણ સમાજને થતા અન્યાય સામે અવાજ પણ ઉઠાવવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.
રાજકારણમાં પ્રવેશ અંગે તેમણે કહ્યું હતું કે, આ વિશે અત્યારથી કહેવું ઘણું વહેલું ગણાશે. પરંતુ દેશ અને સમાજના હિત માટે કંઈપણ કરવાની તૈયારી દર્શાવી રાજકારણમાં પ્રવેશનો આડકતરો ઈશારો દર્શાવ્યો હતો.
સુરતમાં નાની બાળકી સાથે થયેલા દુષ્કર્મની ઘટના દુઃખદ અને શરમજનક હોવાનું તેમણે કહ્યું હતું. પરંતુ આ કારણે સમગ્ર રાજ્યમાં મહિલાઓ અસલામત છે તેવું માનવાનો તેમણે ઈન્કાર કર્યો હતો અને આવી ઘટનાઓ અટકાવવા નારી શક્તિમાં નવા પ્રાણ ફૂંકવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
આ તકે જામનગરમાં પોતાની સાથે થયેલા અન્યાયનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. હાલમાં ચાલી રહેલા મીટુ કેમ્પઈનને સમર્થન આપતા તેમણે કહ્યું હતું કે, આ ખરેખર ખૂબ સારૂ કેમ્પઈન છે. આ માધ્યમથી પ્રતિષ્ઠિત મહિલાઓ સામે આવતા સામાન્ય મહિલાઓની હિંમત વધી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.