અમદાવાદ: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે ગુરુવારે સાંજે 50 ફૂટ ઊંડા કૂવામાંથી એક સિંહ સહિત 10 નીલગાય મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેના કારણે વન વિભાગમાં દોડધામ મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં એક સિંહ અને 10 નીલગાયની હત્યા કરી આ કૂવામાં કોઇ ફેંકી ગયાનું ખુલતા વન્યજીવપ્રેમીઓમાં ભારે રોષની લાગણી પ્રસરી ગઇ છે. આ અંગેની જાણ થતાં પોલીસ અને વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે. વન્ય પ્રાણીઓના હત્યારાની ઓળખ કરવા પોલીસ અને વનવિભાગ સક્રિય બન્યા છે.
વનવિભાગનું તંત્ર લાગ્યું ધંધે, ચાર દિવસ પહેલાની ઘટના હોવાનું અનુમાન
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે આવેલા એક 50 ફૂટ ઊંડા કૂવામાં 30 ફૂટ જેટલું પાણી ભરેલું છે. આ 50 ફૂટ ઊંડા કૂવામાં એક સિંહ અને 10 નીલગાયના મૃતદેહો છેલ્લા ચારેક દિવસથી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ગઈકાલે સાંજે વન વિભાગને જાણ થતાં તુરંત ઊંઘમાંથી સફાળું જાગ્યું હતું અને આજે સવારે પોલીસ તંત્રને સાથે રાખીને વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જજે કૂવામાંથી એક સિંહ અને દસ નીલગાયના મૃતદેહો મળ્યા છે તે કૂવો જયસુખભાઈ સુહાગિયાની માલિકીની વાડીમાં આવેલો છે. જયસુખભાઈની વાડીના કૂવામાંથી આ તમામ વન્યપ્રાણીઓના મૃતદેહો મળી આવ્યાની ઘટનાના પગલે વન વિભાગની ટીમ, ડોગ સ્કોડ, એફએસએલની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતાની સાથે ઇન્ચાર્જ ડીસીએફ ડૉ. સકીરા બેગમ આર. પણ ઘટનાસ્થળે દોડી ગયા છે. તેમણે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના શંકાસ્પદ છે આથી આ મામલે અમારી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સંપૂર્ણ તથ્ય સામે આવી જશે.