ગાંધીનગર,
દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે કેવડિયા ખાતે નિર્માણ થયેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી ૧૮૨ મીટરની સૌથી ઉંચી પ્રતિમાના અનાવરણ સાથે જ દુનિયાભરમાં મોટી નામના મળી હતી.
વાત કરવામાં આવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મિસપ્લાનિંગની તો, આ અંગે બે દિવસ પહેલા જ મંતવ્ય ન્યુઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયું હતું કે, માર્ગ ઉબડ ખાબડ છે, તો કેટલીક જગ્યાએ જગ્યાએ સરફેસ તથા ટાઈલ્સ, પીઓપીનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
જો કે આ રિયાલીટી ચેકને હજી ગણતરીના કલાકો જ થયા છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે એક નવો ખુલાસો થયો છે.
આ ખુલાસો છે, સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાને નિહાળવા માટે મુલાકાતીઓ પાસેથી વસુલવામાં આવતી ફી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વસુલવામાં આવતી ફીની વાત કરવામાં આવે તો, પ્રશાસન દ્વારા હવેથી એક ખાસ એન્ટ્રી શરુ કરવામાં આવી છે. આ એન્ટ્રી છે એક્સ્પ્રેસ એન્ટ્રી અને જેની ૧૦૦૦ રૂપિયા ફી નિયત કરવામાં આવી છે.
આ એન્ટ્રીને ખાસ કહેવામાં આવી રહી છે કારણ કે, લોકો જો ૧૦૦૦ રૂપિયા આપે છે તો તેઓને કતારમાં ઉભું રહેવું પડશે નહિ અને સીધા જ (VIP) તેઓ પ્રવેશ મેળવી શકશે.
આ ૧૦૦૦ રૂપિયાની એન્ટ્રીમાં વ્યુઈંગ ગેલેરી, વેલી ઓફ ફ્લાવર્સ, મેમોરિયલ, મ્યુઝિયમ અને ઓડિયો વ્યુઝલ ગેલેરી, SOU સાઈટ તેમજ સરદાર સરોવર ડેમ શામેલ છે.
પરંતુ આ ફીની ચોકાવનારી વાત એ છે કે, ૩ થી ૧૫ વર્ષના બાળકો અને પુખ્વયના લોકોની ફી પણ એકસરખી એટલે કે ૧૦૦૦ રૂપિયાની જ રાખવામાં આવી છે.
જો કે બીજી અન્ય એન્ટ્રીની વાત કરવામાં આવે તો વ્યુઈંગ ગેલેરી માટે બાળકો માટે ૨૦૦ રૂપિયા અને પુખ્વયના લોકોની ફી ૩૫૦ રૂપિયા રાખવામાં આવી છે.
આ જ રીતે એન્ટ્રી ટિકિટ માટે બાળકો માટે ૬૦ રૂપિયા અને પુખ્વયના લોકોની ફી ૧૨૦ રૂપિયા રાખવામાં આવી છે.
આ જોતા સામે આવે છે કે, એકતા અને અંખડિકતાના પ્રણેતા એવા સરદાર પટેલની પ્રતિમાના નામે વસુલવામાં આવતી ફીના નામે કયા પ્રકારનો વિરોધાભાસ થઇ રહ્યો છે.
અત્રે જણાવવાનું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે વસુલવામાં આવતી ફીના આંકડા જે ઉપર દર્શાવવામાં આવ્યા છે તે સરકારની ઓફિશિયલ વેબસાઈટ https://www.soutickets.in/ પરથી લેવામાં આવ્યા છે અને જેણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે.
બીજી બાજુ આ ફી આપ્યા બાદ પણ મુલાકાતીઓને નિરાશ થવાનો વારો આવ્યો છે. કારણ કે ૩ હજાર કરોડ રૂપિયાના માતબર ખર્ચે નિર્માણ થયેલી આ પ્રતિમાના અનાવરણ થયા બાદ જે ચિત્ર સામે આવ્યું છે તે જોઇને સરકારના મસમોટા પ્લાનિંગ અંગે અનેક સવાલો ઉભા થયા છે.
અહિયાં સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી જવા માટેના પાસ પોઈન્ટ સુધી પહોચવાનો માર્ગ પણ હજી ઉબડ ખાબડ છે, તો કેટલીક જગ્યાએ જગ્યાએ સરફેસ તથા ટાઈલ્સ, પીઓપીનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
આ ઉપરાંત સરદાર સરોવરના વ્યુ પોઈન્ટ પાસે ટોઈલેટ બનાવવામાં આવ્યું છે. આ ટોઇલેટમાંનળ તો છે પણ તે માત્ર નામના છે કારણ કે એમાં પાણી આવતું નથી.
ત્યારે હવે જોવું રહ્યું કે, લોકો દ્વારા વસૂલવામાં આવતા આટલા રૂપિયા બાદ પણ તેઓને જે હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે તો, આ માટે કોણ જવાબદાર છે અને આગામી સમયમાં કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી શકે છે.