અમદાવાદના રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટ દ્વારા પાસ નેતા અલ્પેશ કથીરિયાને જામીન આપવામાં આવ્યા છે. જોકે, અલ્પેશ કથીરિયાની સુરતના અમરોલીમાં 3 વર્ષ પહેલાં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં ગત રોજ સાબરમતી જેલમાં ટ્રાન્સફર વોરંટ સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવતા હાલ અલ્પેશ જેલમાંથી મુક્ત નહીં થાય.
સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા અલ્પેશને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, તપાસ પૂર્ણ થઈ હોવાથી પોલીસે રિમાન્ડ માગ્યા ન હતા. જેથી કોર્ટે જ્યુ઼ડિશીયલ કસ્ટિડીમાં અલ્પેશને લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
2015માં પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાં તોડફોડ અને અરાજકતા ફેલાય તેવા અનેક બનાવો બન્યા હતા. સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં બની હતી. જેમાં પાસના ગુજરાતના નેતા હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો સામે રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં હાર્દિક પટેલ, વિપુલ પટેલ અને ચિરાગ પટેલની ધરપકડ થઈ ચૂકી હતી.
જયારે અલ્પેશ કથિરિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ટ્રાન્સફર વોરન્ટ મારફતે સુરત ક્રાઇમ બ્રાંચે તેનો કબજો મેળવી રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરી હતી.