ધનતેરસ પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. કેટલાક લોકો ધનતેરસ પર આભૂષણ તો કેટલાક લોકો લક્ષ્મી-ગણેશ ભગવાનની તસવીરોવાળા સોના તેમજ ચાંદીના બિસ્કીટ તથા સિક્કા ખરીદે છે. દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશવાળા સિક્કા કે બિસ્કીટની પૂજા કરવામાં આવે છે. વેચાણ વધારવા માટે જ્વેલર્સ વિવિધ પ્રકારના પ્રયોગો કરતા રહે છે.
ત્યારે હવે સુરતના જ્વેલર્સે એવા સોના તેમજ ચાંદીના સિક્કા બનાવ્યા છે, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર બનેલી છે. આ સિક્કા મોટી સંખ્યામાં વેચાઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીરવાળા સિક્કા પણ દુકાનમાં વેચાઈ રહ્યાં છે.
દુકાનમાં સોનાના બાર ખરીદનારા લોકોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે ઘણુ બધુ કર્યું છે. આવામાં તેઓ ભગવાન જેવા જ છે. તેથી તેઓ તેમની તસવીરવાળા સોનાના બાર ખરીદીને તેમની પૂજા કરવા માંગે છે.
સુરતના આ જ્વેલરે દુકાનમાં ખુલ્લામાં નરેન્દ્ર મોદીની તસવીરવાળા સોના તેમજ ચાંદીના બાર તેમજ બિસ્કીટ મૂક્યા છે. તેનું વજન 10 ગ્રામથી લઈને 1 કિલો સુધી છે. દુકાનમાં આવનારા લોકોમાં આ બિસ્કીટ અને બાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.