સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં ગયાં અઠવાડિયે લાગેલી આગના બનાવ બાદ તંત્ર સફાળુ જાગ્યું હોય તેમ લાગે છે. હાલ મ્યુ. તંત્ર દ્વારા જીઆઈડીસીની બિલ્ડીંગનો સર્વે કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સર્વેમાં ચોકાવનારી માહિતી સામે આવી છે જીઆઈડીસીની કુલ 294 મિલ્કતોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી 134 જેટલી મિલ્કતો જીવતા બોમ્બ સમાન હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. જેને તાકીદે ઉતારી પાડવાની કે રીપેર કરવાની જરૂર છે.
મહત્વનું છે કે પાંડેસરા જીઆઈડીસીમાં અનેક બાંધકામો વર્ષો જૂના છે ઉપરાંત કેટલાંક યુનિટોનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. જુના બાંધકામમાં મશીનરીનો વધુ પડતા વજન વાળા હોવાનું પણ સામે આવ્યું છે. આટલી મોટી સંખ્યામાં મિલ્કતો જોખમી હોવાથી મ્યુનિસિપાલે તાત્કાલિક ૧૩૪ જોખમી મિલ્કતના મિલ્કતદારોને નોટીસ ફટકારવામાં આવી છે.
તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જો નિયત સમય મર્યાદામાં મિલ્કત રીપેર કરવા કે ઉતારી પાડવામા ન આવે તો મ્યુનિ. તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામા આવશે. જોકે, તંત્રના આ રિપોર્ટ બાદ પાંડેસરા જીઆઈડીસીમાં મિલ્કતની સ્ટ્રકચરલ સ્ટેબીલીટી સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે.
આટલી મોટી સંખ્યામાં જોખમી મિલ્કતમાં હજારો કામદારો કામ કરી રહ્યાં છે આ જોખમી મિલ્કતમાં જો કોઈ અકસ્માત થાય તો કામદારોની મોટી માત્રામાં જાનહાની થઈ શકે તેવી ભીતી સેવાઈ રહેલી છે. ઉલ્લેખનિય છે કે આ અગાઉ મંતવ્ય ન્યુઝ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો જેને લઇ સુરત મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.