રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં Congress પક્ષને સૌથી વધુ બેઠકો આપનાર સૌરાષ્ટ્ર વિસ્તારના સિનિયર નેતાઓમાં નારાજગી પ્રસરી રહી છે. આ નારાજગીનો મામલો છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી ગયો છે. જેના અંતર્ગત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી પખવાડિયામાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ગુજરાત કોંગ્રેસના સૌરાષ્ટ્રના સિનીયર ધારાસભ્યોમાં પક્ષની સામેની નારાજગી ચડી ચડીને લોકોની સામે આવી રહી છે. સૌરાષ્ટ્રના સિનિયર ધારાસભ્યો કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ, મહમંદ જાવિદ પીરજાદા પક્ષથી નારાજ છે તેવી વાત હવે દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી ગઇ છે. જે અંગે પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા મનામણાંના પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે.
જેના ભાગરૂપે રાજકોટમાં યોજાયેલા ખેડૂતોના ધરણાંના કાર્યક્રમમાં પક્ષથી નારાજ એવા જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ અને વાંકાનેરના ધારાસભ્ય મહમંદ જાવિદ પીરઝાદાને હાજર રાખીને પોતે બધા એક છે તેવું દર્શાવવામાં કોંગ્રેસ સફળ રહ્યું હતું. પરંતુ હજુ અંદરખાને ક્યાંકને ક્યાંક તેઓમાં અસંતોષ દેખાઇ રહ્યો છે.
કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય કુંવરજી બાવળીયા મીડિયાને સ્પષ્ટતાથી અને ભાર દઈને કહે કે હજુ આજદિન સુધી તો હું કોંગ્રેસમાં જ છું, તેમના આવા નિવેદનનો મતલબ શું કરવો તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મતદારોએ આપી છે ત્યારે સૌરાષ્ટ્રના સિનિયર નેતાઓની નારાજગીનો મામલો દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી ગયો છે. હવે જયારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પક્ષમાં સૌરાષ્ટ્રના સિનિયર ધારાસભ્યોની આવી નારાજગીની વાત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સુધી પહોંચી ગઇ છે.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં પક્ષના સિનિયર નેતાઓ નારાજ હોય તે યોગ્ય ન હોવાથી ખુદ રાહુલ ગાંધી આ ધારાસભ્યોને રૂબરૂ મળીને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પોતે જ આ મામલાને ઉકેલવા માટે આગામી પખવાડિયામાં સૌરાષ્ટ્ર આવી રહ્યા છે. રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ પક્ષના નારાજ સિનિયર નેતાઓને મળશે તેમજ પાયાના કાર્યકરોને મળીને સૌરાષ્ટ્રની ગ્રાઉન્ડ લેવલની હકીકતો અંગેનો સમગ્ર ચિતાર મેળવશે.
રાહુલ ગાંધી રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાની મુલાકાત લેશે
કોંગ્રેસ પક્ષના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જુલાઇ માસના બીજા સપ્તાહમાં એટલે કે, તા. 11થી 15 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યાં છે. વિધાનસભામાં કોંગ્રેસને ઢગલાબંધ મતો અને બેઠકો આપનાર સૌરાષ્ટ્ર પંથક આગામી લોકસભાને લઈને ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.
રાહુલ ગાંધી અહીં આવી વેપારીઓ, ખેડૂતો સહિત ત્રણ જિલ્લાના કાર્યકરો, નેતાઓને મળશે અને સમગ્ર સ્થાનિક પરિસ્થિતિઓ અંગેની વિગતો મેળવશે. સૌરાષ્ટ્ર સહીત રાજ્યની જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ મજબૂત છે, ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓ આંતરિક જૂથવાદને બાજુ પર મૂકીને મહેનત કરે તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મોટો ફાયદો મળે તે માટેના પ્રયાસો રાહુલ ગાંધી દ્વારા કરવામા આવી રહ્યાં છે.
આ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ, મહમંદ જાવિદ પિરઝાદા, ઇન્દ્રનીલ રાજયગુરૂ સહિતની નેતાઓની સાથે બેઠક કરી તેની રજૂઆતો સાંભળીને તેમનું નિરાકરણ લાવવા પ્રયાસો કરવામાં આવશે.