Gandhinagar News: ફરજિયાત ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) મુદ્દે ગુજરાતમાં શિક્ષકોનું આંદોલન વધુ તેજ બન્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચીને વિરોધ પ્રદર્શન (Gujarat Teachers Protest) અને ધરણાં યોજ્યાં. શિક્ષકોની મુખ્ય માંગ છે કે વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને ફરજિયાત TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના એક નિર્ણય બાદ શિક્ષણ ક્ષેત્રમાં ચર્ચા શરૂ થઈ છે. આ નિર્ણયના સંદર્ભમાં શિક્ષકોનું કહેવું છે કે લાંબા સમયથી સેવા આપતા અને અનુભવ ધરાવતા શિક્ષકોને ફરીથી ફરજિયાત પરીક્ષા આપવાની શરત યોગ્ય નથી. તેથી તેઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવે.
Gujarat Teachers Protest : રાજ્યભરમાંથી ગાંધીનગર પહોંચ્યા શિક્ષકો
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાંથી શિક્ષકો ગાંધીનગરમાં એકત્ર થયા હતા. વિરોધ દરમિયાન શિક્ષકોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા અને પોતાની વિવિધ માંગણીઓ પર તાત્કાલિક નિર્ણય લેવાની અપીલ કરી.
શિક્ષકોની મુખ્ય માંગણીઓ
શિક્ષક સંગઠનોએ સરકાર સમક્ષ નીચેની મુખ્ય માંગણીઓ રજૂ કરી છે:
વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને ફરજિયાત TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે.
1 એપ્રિલ 2005 બાદ ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે.
ધોરણ 6થી 8ના શિક્ષકોને અલગ અને યોગ્ય ગ્રેડ પે આપવામાં આવે.
HTAT આચાર્યોને સોંપાયેલા વધારાના શાળાના ચાર્જનો નિર્ણય પરત ખેંચવામાં આવે.
દિલ્હી સુધી આંદોલન (Gujarat Teachers Protest) ની ચીમકી
શિક્ષક આગેવાનોએ જણાવ્યું કે જો સરકાર તેમની માંગણીઓ અંગે હકારાત્મક નિર્ણય નહીં લે તો આંદોલન (Gujarat Teachers Protest) ને વધુ વ્યાપક બનાવવામાં આવશે. જરૂર પડશે તો આ લડતને દિલ્હી સુધી લઈ જવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી.
શિક્ષક પ્રતિનિધિઓએ સરકારને વહેલી તકે ચર્ચા માટે આમંત્રણ આપી સમસ્યાનો ઉકેલ લાવવાની અપીલ કરી છે. બીજી તરફ, ગાંધીનગરમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકત્ર થતાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદમાં TET-1ના બે પરીક્ષાર્થીને અકસ્માત: મેથ્સ પેપર અઘરું લાગતાં ઉમેદવારો મૂંઝવણમાં
આ પણ વાંચો:હાશ! શિક્ષણ વિભાગે છેવટે TETની પરીક્ષા યોજવાની જાહેરાત કરી
