અમદાવાદ,
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ દ્વારા રાજ્યના બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને ૭માં પગાર પંચના અમલના કારણે ચુકવવાના પગાર તફાવતની રકમનો પ્રથમ વાર્ષિક હપ્તો નવેમ્બર માસમાં ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે આ શાળાઓ સાથે સંકળાયેલા ૬૧,૦૦૦ જેટલા શિક્ષકો તથા કર્મચારીઓને લાભ થશે.
નીતિન પટેલે જણાવ્યુ હતું કે,રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પ્રમાણે સુધારેલ પગાર ધોરણો તા.૦૧.૦૧.૨૦૧૬ થી આપવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને ૭ (સાત)માં કેન્દ્રીય પગારપંચની ભલામણો મુજબના નવા પગાર ધોરણ ‘સ્કેલ ટુ સ્કેલ” ના ધોરણે લાગુ પાડવામાં આવ્યા છે.
જેના અનુસાર તા.૦૧.૦૮.૨૦૧૭ થી દર માસના પગારમાં રોકડના ધોરણે ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે, તા.૦૧.૦૧.૨૦૧૬ થી તા.૩૧.૦૭.૨૦૧૭ સુધીના સમયગાળાના તફાવતની રકમ પાંચ સરખા વાર્ષિક હપ્તામાં ચુકવવા અંગે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.