અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં ટોરેન્ટ દ્વારા વીજ દરમાં વધારો કરાયો છે. ફ્યુલ સરચાર્જ પેટે 23 પૈસાનો વધારો કરાયો છે. જેથી હવે સરચાર્જ 1.86થી વધારીને 2.09 રૂપિયા પ્રતિ યુનિટ કરાયો છે. આ સાથે જ PGVCL, UGVCL, DGVCL, MGVCL દ્વારા પણ પ્રતિ યુનિટ 10 પૈસાનો વધારો કરાયો છે. જેથી તેનો ભાવ વધીને 1.61 થી 1.71 રૂપિયા પ્રતિ યુનિટ કરાયો છે.
આ ઉપરાંત રાંધણ ગેસના ભાવમાં પણ દીવાળી સમયે જ વધારો કરાયો છે. સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 2.94 રૂપિયા પ્રતિ સિલિન્ડર ભાવવધારો થયો છે. સિલિન્ડરના આધાર મૂલ્ય અને ફેરફાર તથા તેના પર કરના પ્રભાવના કારણે ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે 14.2 કિલોના સબસિડીવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ બુધવાર મધરાતથી 502.40 પૈસાથી વધીને 505.34 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવ્યો છે.
સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં જૂન મહિનાથી આ છઠ્ઠીવાર વધારો કરવામાં આવ્યો છે. જૂન મહિનાથી લઈને અત્યાર સુધીમાં 14.13 રૂપિયા ભાવવધારો કરવામાં આવ્યો છે.