અમદાવાદ: અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલ રામનગરમાં એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. જેના કારણે દિવાલની નીચે દબાઈ જતાં બે મજૂરના મોત નીપજ્યા હોવાની ઘટના બની છે. આ અંગે સાબરમતી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાબરમતીમાં મકાનનું રિપેરિંગ કામ વખતે બન્યો બનાવ
અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારના રામનગર ખાતે આવેલી જોટાણાં ચાલીમાં એક મકાનનું રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન મકાનના રિપેરિંગ દરમિયાન તોડફોડ કરવા જતા સમયે મકાનની દિવાલ ધડાકા સાથે ધસી પડી હતી. અચાનક ધસી પડેલી આ દિવાલના કાટમાળની નીચે કામ કરી રહેલા બે મજૂર દટાઈ ગયા હતા.
આ ઘટના અંગે તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમને બોલવવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને દિવાલની નીચે દટાયેલા બે મજૂરને બહાર કાઢીને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ બંને મજૂરને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ ઘટના અંગેની જાણ થતાં સાબરમતી પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. સાબરમતી પોલીસે આ ઘટના અંગેની પ્રાથમિક માહિતી મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલા મજૂરોની ઓળખ રેવાભાઈ નાગરભાઈ પરમાર (ઉ.વ.૫૮) અને સોહન રાયસિંગ ખરાડી (ઉ.વ.૨૫) તરીકે કરવામાં આવી છે.