અમદાવાદ: સતત ચર્ચામાં રહેતા એવા પંચમહાલના BJP ના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે આજે વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે કે, મારી ટિકિટ કાપનાર હજુ સુધી જન્મ્યો નથી, એટલું જ નહિ આગામી ત્રણ ટર્મ સુધી હું જ પંચમહાલનો સાંસદ રહીશ. પંચમહાલના સાંસદના આવા નિવેદનથી ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે.
પંચમહાલ લોકસભા બેઠકના BJP ના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કઈંકને કઈંક નિવેદનના કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. હંમેશા કોઈને કોઈ નિવેદનને લઈને ચર્ચામાં રહેલા ભાજપના પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે.
આજે જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન BJP ના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે એવો દાવો કર્યો હતો કે, “આગામી ત્રણ ટર્મ સુધી હું જ પંચમહાલનો સાંસદ રહીશ. આગામી વર્ષ 2030 સુધી હું જ અહીંનો સાંસદ છું. હજુ સુધી મારી ટિકિટ કાપનાર કોઈ જન્મ્યો નથી.”
૨૦૧૯ની ચૂંટણી અઢી લાખ મતની લીડથી જીતવાનો પણ કર્યો દાવો
રાજ્યમાં યોજાયેલી જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણી અંતર્ગત આજે પંચમહાલ જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન હાજર રહેલા ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને આગામી લોકસભાની ચૂંટણીમાં તમને ટિકિટ આપવામાં આવશે કે પછી તમને કાપીને અન્યને ટિકિટ આપવામાં આવશે, એવા સવાલના જવાબમાં બીજેપીના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે એવા દાવા સાથે જણાવ્યું હતું કે, “વર્ષ 2019, 2024 અને 2029 સુધી હું જ પંચમહાલનો સાંસદ છું. વર્ષ 2019ની ચૂંટણી હું અઢી લાખ મતની લીડથી જીતીશ. એટલું જ નહિં, મારી ટિકિટ કાપવા અંગે બધા ખોટું બોલી રહ્યા છે. મારી ટિકિટ કાપનારું હજી સુધી કોઈ જન્મ્યું નથી.”
બીજેપી સાંસદ પ્રભાતસિંહના આ દાવામાં કેટલું તથ્ય?
પંચમહાલ લોકસભા બેઠકના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની ઉંમર હાલમાં આશરે ૭૭ વર્ષની આસપાસની છે. આ ઉમરે પણ તેમણે દાવો કર્યો છે કે, આગામી 15 વર્ષ સુધી પણ તેઓ જ પંચમહાલના સાંસદ રહેશે.
ગત લોકસભાની ચૂંટણીમાં તેઓ ૧.૭૦ લાખની જંગી બહુમતી સાથે જીતી આવ્યા હતા. આગામી ત્રણ ટર્મ સુધી તેઓજ પંચમહાલના સાંસદ રહેશે તેવા તેમના આ દાવા પાછળનું કારણ આ બેઠક પર રહેલું તેમનું વર્ચસ્વ છે.
પંચમહાલ લોકસભાની બેઠક પર જ્ઞાતિવાદી રાજકારણ હંમેશા હાવી રહ્યું છે. વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ બેઠક પર ઓબીસી મતદારોની સંખ્યા ખૂબ જ વધારે છે.
આ ઉપરાંત પંચમહાલ લોકસભાની બેઠક માટે પ્રભાતસિંહ ચૌહાણને ટક્કર આપે તેવો કોઈ નજીકનો હરિફ દાવેદાર પણ ન હોવાના કારણે તેઓએ આવો દાવો કર્યો હોય તેવું માનવાને કારણ હોય તેમ સમજી શકાય છે.