વડોદરા,
વડોદરા શહેરનાં કેટલાંક વિસ્તારમાં અશાંત ધારાનું કડકાઇથી અમલીકરણ નહીં થતાં હિન્દૂ જાગરણ મંચનાં કાર્યકરોએ બાઇક રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. કાર્યકરો સાથે સયાજીગંજનાં ધારાસભ્ય જીતુભાઇ સુખડીયા અને પૂર્વ મેયર ભરત શાહ સહિતનાં આગેવાનોએ પણ જોડાઇ કાર્યવાહીની માંગ કરી હતી.
વડોદરાનાં શહેરનાં અનેક વિસ્તારોમાં અશાંતધારાનો અમલ કડકાઇથી નહિ થતો હોવાનાં આક્ષેપ સાથે વડોદરા હિન્દૂ જાગરણ મંચ દ્વારા આજે બાઇક રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. શહેરનાં વાડી, રાવપુરા, તાંદલજા, નિઝામપુરા વિસ્તારની સોસાયટીઓ ખાતે હિન્દૂ વસ્તીમાં આવેલા મકાનોને લઘુમતી સમાજ દ્વારા ઉંચી કિંમત આપી ખરીદી લેવાની કામગીરી અને આવા જ વિસ્તારોમાં પાકા મકાન સાથેની બાંધકામ સાઇટની પરવાનગી આપી દેવાનાં વિરોધમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
હિન્દૂ જાગરણ મંચની સાથે સયાજીગંજ વિસ્તારનાં ભાજપનાં ધારાસભ્ય જીતુભાઇ સુખડીયા અને પૂર્વ મેયર ભરતભાઇ શાહ પણ જોડાયા હતા અને તેમને પણ અશાંતધારાનો કડકાઇથી અમલીકરણ થાય તે માટે કલેકટર કચેરી ખાતે રજુઆત કરી હતી.
મહત્વનું છે કે, નિઝામપુરા વિસ્તારમાં તાજેતરમાં સ્મશાન ગૃહ પાસે આવેલ જમીન પર લઘુમતી કોમનાં બિલ્ડર દ્વારા નવીન બાંધકામની સાઇટ અંગે રજા ચિઠ્ઠી અપાવમાં આવી હતી. આ રજા ચીઠ્ઠી કેવી રીતે આપવામાં આવી તે પ્રકરણ અંગે તપાસ કરવાની માંગ હિન્દૂ જાગરણ મંચ દ્વારા કરવામાં આવી હતી.