ગાંધીનગર,
ગુજરાતની મોટાભાગની 66 ટકા વસ્તી પીવાના પાણી માટે જેના પર આધારિત છે તે નર્મદા ડેમમાં પાણીનો જથ્થો સીમિત રહેતા ગુજરાતમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. સુત્રોના કહેવા પ્રમાણે ગુજરાત પાસે નર્મદાનું હવે માત્ર 1 મિલિયન એકરફિટ પાણી રહ્યું છે. જે આગામી ચોમાસા સુધી ચલાવવાનું છે.
ઉનાળામાં પાણી સમસ્યા વિકટ બને તે પહેલા આગોતરા પગલાં માટે રાજ્ય સરકારે તાકીદની બેઠક બોલાવી હતી.
બીજી બાજુ ખેડૂત સમાજના મહામંત્રી સાગર રબારીએ સરકારને પત્ર લખી નર્મદાના પાણી અંગે અનેક સવાલો કર્યા છે.સાગર રબારીનું કહેવું છે કે નર્મદા .ડેમમાં પાણી ઓછું છે તેથી ખેડૂતોને ઉનાળુ પાક માટે પાણી નહીં મળે તેવી સરકારે જાહેરાત કરી છે.નર્મદા નિગમની વેબસાઈટ પર પાણીના જથ્થા અને વિતરણ તથા વપરાશના આકડાં કેમ દેખાતા નથી? રોજ કેટલા ક્યુસેક પાણી છોડાય છે અને છોડાયેલા પાણીનો કેટલો જથ્થો પીવા માટે અપાય છે તથા કેટલો હિસ્સો ખેતી અને કેટલો હિસ્સો ઉદ્યોગોને આપાય છે તેનો જવાબ સરકારે આપવો જોઇએ.
આ પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે પાણીનું જો સરખુ આયોજન નહી કરવામાં આવે તો 2020માં પાણી યુદ્ધો થશે.
ઉલ્લેખનીય છે કે ગત ચોમાસામાં મધ્યપ્રદેશમાં વરસાદ ઓછો પડ્યો હોવાથી નર્મદામાં પાણીની આવક લગભગ અડધા જેટલી થઇ છે.ગુજરાતને નર્મદાનું પાણી સામાન્ય રીતે 9 મિલિયન એકરફિટ જેટલું મળતું હોય છે. જેના બદલે માત્ર 4.5 મિલિયન એકરફિટ પાણી મળ્યું છે, જેમાંથી3.5 મિલિયન એકર ફિટ પાણીનો વપરાશ થતાં હાલ નર્મદા ડેમમાં કુલ પાણીમાંથી ગુજરાત માટે માત્ર 1 મિલિયન એકરફિટ પાણી રહ્યું છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી આપવાનું બંધ કરવાની જાહેરાત કરાઈ છે.