Morbi News: મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પિયતના પાણીનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. વાવણીની સિઝન નજીક આવી રહી હોવા છતાં ખેડૂતોને હજુ સુધી સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતાં ચરાડવા ગામે ખેડૂતો (Halvad Farmers Protest)નો રોષ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો મોરબી બ્રાન્ચ કેનાલ પાસે એકત્ર થયા અને કેનાલની અંદર ઉતરીને રામધૂન બોલાવી સરકાર તથા નર્મદા નિગમના વહીવટી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલ મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા તરફ જતી મુખ્ય બ્રાન્ચ કેનાલોમાં સાફ-સફાઈ, મેન્ટેનન્સ અને રિપેરિંગ કામગીરીના કારણે પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે.
Halvad Farmers Protest: વાવણી પહેલાં પાણી નહીં મળતાં ચિંતા વધી
ખેડૂતોનું કહેવું છે કે વાવણી માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં જો સમયસર પાણી નહીં મળે તો ખેતી પર ગંભીર અસર પડી શકે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કેનાલોની સફાઈ અને મરામતનું કામ ખૂબ જ ધીમી ગતિએ કરવામાં આવી રહ્યું છે.ખેડૂતોના મત મુજબ, જ્યારે વાવણીનો સમય નજીક હતો ત્યારે જ આવી કામગીરી હાથ ધરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો સમયસર પાણી છોડવામાં નહીં આવે તો પાકને નુકસાન થવાની ભીતિ વધી રહી છે.
કેનાલમાં ઉતરીને કર્યો વિરોધ
ચરાડવા ગામે ખેડૂતો કેનાલમાં ઉતરી ગયા હતા અને રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ (Halvad Farmers Protest) નોંધાવ્યો હતો. ખેડૂતોએ સરકાર અને નર્મદા નિગમ સામે સૂત્રોચ્ચાર કરીને તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી હતી.પ્રદર્શન દરમિયાન ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક ખેડૂતોએ જણાવ્યું કે, પિયતના પાણી વગર તેમની આખી ખેતી જોખમમાં મુકાઈ રહી છે.
તંત્રને અલ્ટીમેટમ
ખેડૂતો (Halvad Farmers Protest) એ ચીમકી આપી છે કે જો આગામી ટૂંક સમયમાં કેનાલોની સફાઈ પૂર્ણ કરીને પાણી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે. નર્મદાનું પાણી વહેલી તકે છોડીને ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બચાવવા માટે તંત્રને આગ્રહભરી માંગ કરવામાં આવી છે.
ખેતી અને અર્થતંત્ર પર અસરની ભીતિ
હળવદ અને આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખેતી આધારિત અર્થતંત્ર છે. પિયતના પાણીની અછતને કારણે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સમગ્ર ગ્રામ્ય અર્થતંત્ર પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડના કામનો વિરોધ, 200થી વધુ ખેડૂતોની અટકાયત
આ પણ વાંચો:હળવદના સાપકડા ગામમાં વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ
આ પણ વાંચો:11 ગામોના ખેડૂતોનો HUDA વિરોધ: 7 હજાર કાર્યકર્તાઓ રાજીનામું આપશે
