Gujarat News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સુરેન્દ્રનગરના વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે આયોજિત ‘હોળી મહોત્સવ’માં સહભાગી થયા હતા. આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા કનીરામ બાપુ તેમજ લઘુ મહંત નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ગૌમાતા રક્ષા માટે પ્રતિબદ્ધ : હર્ષ સંઘવી (Harsh Sanghvi)
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ જણાવ્યું હતું કે, મંત્રી તરીકે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે મેં ભગવાન વડવાળાના આશીર્વાદ લઈ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો હતો. વધુમાં તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો માટે અત્યંત કઠોર છે.

સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના કારણે છેલ્લા એક વર્ષમાં 18થી વધુ ગૌ-હત્યારાઓને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં થયેલી ગૌ રક્ષા સંબંધિત કામગીરી વિશે વાત કરતા જણાવ્યું કે ગૌ-હત્યા વિરોધી કડક કાયદો લાવીને સરકારે ગૌભક્તોની લાગણીનું સન્માન કર્યું છે.

દુધરેજ યાત્રાધામના વિકાસ અંગે મહત્ત્વની જાહેરાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા સાડા ચાર કરોડ રૂપિયા ઉપરાંત, બીજા બે કરોડ રૂપિયા એમ કુલ 6.50 કરોડના વિકાસકામો સરકાર દ્વારા કરવામાં આવશે. વધુમાં તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ-બહેનો અને ભક્તોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરીએ અને ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ.

આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સાંસદ બાબુ દેસાઈ, ધારાસભ્યપી.કે.પરમાર, અગ્રણી સર્વે હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિક ટમાલીયા, જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગ્વહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમજ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પણ વાંચો: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ₹509 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત–લોકાર્પણ કરતા હર્ષ સંઘવી
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં કરી હોળીની ઉજવણી, નાગરિકોને પાઠવી શુભેચ્છા
આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી 20-21 ડિસેમ્બરે આસામની મુલાકાત લેશે
