કહેવાય છે કે જે કોઇ ન વિચારી શકે તે અમદાવાદી કરી શકે. અમદાવાદીઓ હંમેશા બધી વસ્તુ માં મોખરે જોવા મળતા હોય છે. વેસ્ટમાંથી બેસ્ટ કરવામાં અમદાવાદીઓ વધારે આગળ જોવા મળે છે. કોઈપણ વસ્તુ હોય તેને તોડી-મરોડીને નવી કરવામાં અમદાવાદીઓનો હંમેશા પ્રથમ નંબર આવતો હોય છે.
ઉનાળાની ચાલી રહેલી ઋતુમાં વિક્રમ ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, જેના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે અમદાવાદનાં પાલડી વિસ્તારમાં રહેતા એક ગૃહિણીએ ગરમીથી બચવા માટે એક અનોખો ઉપાય શોધ્યો છે. જેમાં ગરમીથી બચવા માટે તેમણે શાસ્ત્રોક્ત પદ્ધતિ નો ઉપયોગ કર્યો છે સાથે પર્યાવરણને નુકસાન ન થાય અને આવનારી પેઢીમાં સંસ્કૃતિનો વારસો જળવાઇ રહે તે માટે અલગ અભિગમ અપનાવ્યો છે.
જેમાં તેમણે પોતાની કારમાં ગાયનાં છાણનું લીપણ લગાવ્યું છે. તેમનુ માનવુ છે કે, આ પદ્ધતિથી ગરમીથી રક્ષણ મળી શકશે. સાથે જ ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી શહેરનું પ્રદુષણ દૂષિત ન થાય અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી લોકોને તકલીફ ન પડે તે માટે તેમણે આ પ્રકારનો વિચાર આવ્યો છે.