ગુજરાતમાં ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ- એઈમ્સ મેળવવાનું ગૌરવ રાજકોટને મળ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ખાતમુર્હુત થયા બાદ એઈમ્સના નિર્માણની પ્રક્રિયા ઝડપી આગળ વધી રહી છે તથા આ મેડીકલ ઈન્સ્ટીટયુટ સાથે જોડાયેલી કોલેજના વર્ગો પણ શરુ થયા છે તે વચ્ચે કેન્દ્રના આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા ટુંક સમયમાં જ એઈમ્સની કામગીરીની સમીક્ષા કરવા રાજકોટ આવશે. કેબીનેટ મંત્રી બન્યા બાદની તેમની આ પ્રથમ રાજકોટ મુલાકાત હશે.
રાજયોને પણ કેન્દ્ર સરકાર સતત અપડેટ રાખે છે
દેશમાં કોરોનાની બીજી લહેરમાં હવે મહારાષ્ટ્ર સહિતના છ રાજયોમાં હજુ પોઝીટીવ કેસમાં મોટો ઘટાડો થયો નથી અને નવા કેસ વધતા જાય છે. ઉપરાંત ડેલ્ટા વેરીએન્ટ વધુ ચિંતાજનક હોવાના આવી રહેલા સતત નિષ્ણાંતના અભિપ્રાય વચ્ચે પણ ત્રીજી લહેરની આશંકામાં કેન્દ્ર સરકાર કોઈપણ પરીસ્થિતિને પહોચી વળવા સજજ છે તેવો વિશ્ર્વાસ કેન્દ્રના નવા આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વ્યક્ત કરતા જણાવ્યું હતું.વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજયોને પણ કેન્દ્ર સરકાર સતત અપડેટ રાખીને કોરોનાની પુરતી ચિંતા કરી રહી છે.હાલમાં જ કેન્દ્રીય મંત્રી મંડળમાં ‘પ્રમોશન’ મેળવીને તથા કોવિડના કપરાકાળમાં આરોગ્ય જેવા પડકાર રૂપ વિભાગનો હવાલો સંભાળનાર માંડવીયાએ રાજકોટના એક અગ્રણી મીડિયા સાથેની એક ખાસ વાતચીતમાં ત્રીજી લહેરની તૈયારીમાં ઓકસીજનથી લઈને વેકસીન સુધીના મુદાઓ પર ચર્ચા કરી હતી.
કેન્દ્ર સરકારે ત્રીજી લહેર અને હાલના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો
આરોગ્ય મંત્રી માંડવીયાએ ખુલાસો કર્યો હતો કે હાલમાં જ મારી પ્રથમ કેબીનેટ કક્ષાના મંત્રી તરીકેની પ્રથમ બેઠકમાં રાજયો માટે રૂા.2300 કરોડનું ખાસ પેકેજ મંજુર કરાયું છે અને તેમાં જે રાજયોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક રહી હતી ત્યા વધારાની મેડીકલ સુવિધા, હોસ્પીટલ બેડ, ઓકસીજન પ્લાંટ અને દવા માટેના ભંડોળ ફાળવવામાં આવ્યા છે. રાજયોને તે મારફત બેડ વિ.ની સંખ્યા ભૂતકાળના અનુભવ પરથી વધારવા માટે પણ જણાવાયું છે. કેન્દ્ર સરકારે ત્રીજી લહેર અને હાલના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આપણે જે ઓકસીજનની તંગીનો અનુભવ કર્યો તે ફરી ન થાય તે માટે દરેક જીલ્લામાં ઓછામાં ઓછા 10000 લીટર ઓકસીજનના પ્લાંટ ઉભા કરી દીધા છે જેથી હવે ઓકસીજનની તંગી નહી રહે તેવી આશા છે.
જરૂરી દવાઓનો પુરતો સ્ટોક પણ ઉપલબ્ધ બનાવ્યો
ગત લહેરમાં જ જે રીતે મારા મંત્રાલયે રેમડેસીવીર સહિતની કોરોના આવશ્યક દવાઓના દેશમાં જ ઉત્પાદન માટે નવા લાયસન્સ ઈસ્યુ કરીને સરળતા સર્જી છે અને હજું અમો તેના પર મોનેટરીંગ કરી રહ્યા છે બીજી લહેર સમયે મેડીકલ તૈયારીમાં જે કોઈ ક્ષતિઓ અથવા તે તમામ પુરી કરી લેવામાં આવી છે અને આપણે ઈચ્છીએ છીએ કે ત્રીજી લહેર ન આવે પણ જો આવશે તો પણ આપણે તેનો વધુ સારી રીતે મુકાબલો કરી શકીશું.
વેકસીનનું ઉત્પાદન વધારવા કંપનીઓને પ્રોત્સાહીત કરી
વેકસીનેશન અંગેના એક પ્રશ્ર્નના જવાબમાં માંડવીયાએ કહ્યું કે દેશમાં જ વેકસીનનું ઉત્પાદન વધારવા કંપનીઓને પ્રોત્સાહીત કરી છે એ ખુદ વેકસીન પ્લાંટની મુલાકાત લીધી હતી અને જુલાઈ માસમાં કુલ 14 કરોડ ડોઝ ઓગષ્ટમાં 18 કરોડ ડોઝ મળશે આપણે હાલ રોજ 40 લાખ લોકોને વેકસીન આપી રહ્યા છીએ. તબકકાવાર તે વધારી 50 લાખ 60 લાખ અને સપ્ટેમ્બર માસમાં 70 લાખ લોકોને રોજ વેકસીન અપાય તેવા આયોજન સાથે આગળ વધી રહ્યા છીએ અને અમે ખુબજ વિશ્ર્વાસ છીએ કે વેકસીનેશનથી આપણી કોરોના સામેની જંગ વધુ સરળ હશે.
ગુજરાતમાં ઝાયડસ કેડીલાની 12-18 વયના બાળકોની વેકસીનને મંજુરી બહું જલ્દી
ઉપરાંત ગુજરાતમાં ઝાયડસ કેડીલાની 12-18 વયના બાળકોની વેકસીનને મંજુરી માટેના પરિક્ષણ સહિતના ડેટાના દસ્તાવેજો મંત્રાલયને મળી ગયા છે અને નિષ્ણાંતોની ટીમ તેના પર અભ્યાસ કરી રહી છે અને ખાતરી છે કે બહું જલ્દી આપણે ઝાયડસ કેડીલાની વેકસીનના ઈમરજન્સી ઉપયોગની મંજુરી આપી શકશું.