માનસિક રીતે ચીડચિડો મગજ ધરાવતા લોકોને નજીવી બાબતમાં ગુસ્સો કરવાનું મન થાય છે. અને આવા લોકો ઘણી વાર તેમના વધારે પડતા ગુસ્સાને કારણે બીજાના જીવનમાં મુશ્કેલીઓ વધારી દેતા હોય છે.ઓઢવ વિસ્તારમાં મિનરલ વોટરના જગ સમયસર ન મળતાં હોવાથી ડિપોઝિટ પરત માંગવા જેવી સામાન્ય બોલાચાલીમાં માથાકુટ થઈ હતી. જેમાં ત્રણ ઈસમોએ એક યુવકને છરી મારી દીધી હતી.
કેસની વિગત વાર ચર્ચા કરીએ તો ઓઢવ વિસ્તારમાં રહેતા મોહિત ગુપ્તાએ ચારેક મહિના પહેલા તેમણે મિનરલ વોટરના જગ માટે રૂપિયા ૫૦૦ ડિપોઝિટ આપી પીવાના પાણીના જગ બંધાવ્યા હતા. શિવમ નામની વ્યક્તિ રોજ તેમના ત્યાં પાણીના જગ મૂકવા માટે આવતી હતી.
છેલ્લા બે મહિનાથી તે સમયસર પાણીના જગ મૂકવા માટે આવતો નહતો અને તેમના ઘરે કેટલાક પાણીના જગ ખાલી પડ્યા હતા, જેથી મોહિતે તેમને આ જગ લઈ જઈ તેમની ડિપોઝિટ પરત આપવા માટે ફોન કરી જાણ કરી હતી.
શિવમે મોહિતનને કહ્યું કે રાજેન્દ્ર પાર્કના વહેરા પર આવીને ડિપોઝિટ લઈ જાઓ, જેથી મોહિત અને તેનો મિત્ર અજિત ગયા હતા, જ્યાં શિવમ અને તેના બે મિત્રો તેમને મળ્યા હતા. જ્યાં શિવમે મોહિત ને કહ્યું હતું કે તે પાણીના જગ લેવાનું કેમ બંધ કરી દીધું છે. મોહિતે કહ્યું કે સમયસર જગ મળતા ન હોવાથી મારે પાણી લેવું નથી.મને ડિપોઝિટ પરત કરી દો, કહેતા શિવમ ઉશ્કેરાઈ ગયો અને ગાળો બોલીને મોહિતે માર મારી છરીના ઘા ઝીંક્યા હતા.