ગુજરાત વિધાનસભાને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હવે ઉમેદવારો હાલ ચૂંટણી ફોર્મ ભરી રહ્યા છે. રાજયમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા આ વખતે ચૂંટણી રસપ્રદ બની રહેશે. હાલ ગુજરાતમાં રાજકિય સીમીકરણો અને ચૂંટણી જીતવા માટેની રણનીતિ દરેક પાર્ટી બનાવી રહી છે, એવામાં રાજનીતિના ચાણકય ગણાતા અમિત શાહે મોટી જાહેરાત કરી છે, ગુજરાતમાં હાલમાં જ આમ આદમી પાર્ટીએ પોતાના સીએમ ફેસ તરીકે ખંભાળિયાના ઉમેદવાર ઈસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું છે. આવી જ રીતે અમદાવાદમાં ચેનલ સાથેની વાતચિત દરમિયાન અમિત શાહે પણ ગુજરાતમાં ભાજપ જીતી તો મુખ્યમંત્રી કોણ બનશે તેની વાત કરી હતી. જોકે બધાને આ સવાલના જવાબમાં અમિત શાહ કોનું નામ લેશે તેની અપેક્ષા પહેલાથી જ હતી કે તેઓ હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું નામ લેશે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે ભાજપ જીતશે તો ભુપેન્દ્ર પટેલને જ મુખ્યમંત્રી તરીકે યથાવત રાખશે તેવી વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે તેમણે ભુપેન્દ્ર પટેલ જંગી લીડથી જીતશે તેવી પણ આશાઓ વ્યક્ત કરી દીધી છે. સ્વાભાવીક રીતે માત્ર અમિત શાહ જ નહીં પરંતુ ગુજરાત ભાજપના દરેક નેતા ગુજરાતમાં જંગી લીડ સાથે જીતની આશાઓ વ્યક્ત કરી રહ્યા છે.