વાવાઝોડું અને વૃક્ષ અને પક્ષીઓની અવદશા
@જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
એક વાવાઝોડું બહુ મોટા પાયે આવ્યું. સતત સર્વત્ર ટીવી અને દરેક માધ્યમમાં બ્રેકીંગ ન્યૂઝ નો ધોધ વહેવાં માંડ્યો. ટીવીમાં, છાપામાં અને સોશ્યિલ મીડિયામાં વાવાઝોડાથી ઉભી થયેલી તારાજી અને ક્યાં અને કેવી રીતે માનવજાત ખૂબ હેરાન પરેશાન થઇ અને ઘણી બધી જગ્યાએ આર્થિક નુકશાન થયું વગેરે વગેરે. આ નુકશાનમાં વૃક્ષ ઉખડી ગયા, ખેતીના પાકને, બગીચાને અને પ્રોપર્ટીને ઘણુંબધું નુકશાન થયાની વાતો અને સમાચાર આવતા રહ્યાં ચર્ચાઓ થઇ, સમાચાર આવતા રહ્યાં કે અમદાવાદમાં ૨,૫૦૦ જેટલા ઝાડ પડી ગયા અને તેના કારણે લોકોને અડચણ ઉભી થઇ રહી છે. આવી ચર્ચાઓમાં એક મુદ્દો એવો પણ ઊઠ્યો કે હવે આપણે ઘર પાસે ઝાડ વાવવા નહી, ભાડા ભલે વાવે અને બધાં બીજે દૂર દૂર વાવે આપણે નહિ વાવવાના. ભૌતિક સુખ, સગવડ અને સાહ્યબી બધાને જોઈએ છે, પરંતુ પોતાની આસપાસ કોઈપણ પ્રકારનો દૂરના ભવિષ્યમાં પણ ક્યારેય પ્રશ્ન ઉભો થઇ શકે તેવી કોઈ પણ વ્યવસ્થા નથી જોઇતી. કુદરતી વૃક્ષો હોય જે રોજિંદા જીવન માટે દરેકને ઉપયોગી છે તે પણ નથી જોઈતાં, જેને વાવવા હોય તે વાવે અને બસ બધું બીજા કરે!
૧૮૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતા ચાલુ વાવાઝોડામાં, ભાવનગરના મહુઆ પાસેના છાપરયારી ગામથી મુન્નાભાઈ બાલાભાઈ. ચૌહાણ, ઉંમર ૨૮ વર્ષના એક ભડવીરનો ફોન આવ્યો કે જગતભાઈ તમે આપેલા બે માળામાં બચ્ચા છે અને બહાર તે વિખાઈ જશે તો તેમને ઉતારીને ઘરમાં લાલી લેવાય? કોઈ છૂટકો ન હોઈ તેને કીધુકે તાત્કાલિક અંદર લઇ લો અને વાવાઝોડું શાંત પડે તેટલે તેને પાછાં બહાર ટીંગાડી દઈશું, જોયું જશે! અને સાશ્ચર્ય સાથે બીજે દિવસે આ સવેંદનશીલ મુન્નાભાઈએ વિડિઓ કોલ કરી, પાકું કરી પાછાં માળા મૂકી દીધા અને ચકલીના બચ્ચા અને ચકો ચકી નું કુટુંબ બચી ગયું. ધન્ય છે મુન્નાભાઈનો ચકલી પ્રેમ, જીવદયા, અને સમયસૂચકતા રાખી બધાં અવરોધો વચ્ચે તેણે ચકલીના ૮ બચ્ચા ને બચાવ્યા. ખુબ ખુબ અનુમોદના મુન્નાભાઈ…..
ભાગ્યે જ કોઈ વ્યક્તિએ એવી વ્યથા વ્યક્ત કરી કે આ ૨,૫૦૦થી વધારે વૃક્ષ એક શહેરમાં જો પડી ગયાં હોય તો તેની ઉપર કેટલા પક્ષીના માળા હશે, પક્ષીઓની વસાહતો હશે અને એ બધા માળાની સાથે બીજા પણ નાના મોટા કેટલા બધા જીવ રહેતાં હશે! અત્યારે ભરઉનાળામાં તેમની ઈંડા મૂકવાની સીઝન/ઋતુ છે માટે માળો બનવ્યો છે પણ આ વાવાઝોડાએ તેને વેરવિખેર કરી નાખ્યાં. અસંખ્ય ઈંડા અને બચ્ચા નીચે ફંગોળાઈને મરી ગયા, પક્ષી ખુદ પણ મરી ગયા કે બીમાર થઇ ગયા. ઝાડની નામી ગયેલી કે તૂટીને લટકી ગયેલી ડાળીઓ લોકોએ કપાવી નાખી અને તેની ઉપરના માળા પણ ગયા! કેટ કેટલાં ઈંડા, પક્ષીઓ અને બીજા જીવ મરી ગયા. હવે પક્ષી ક્યાં રહેશે, બપોરની ગરમીમાં ક્યાં આરામ કરશે, તેમના સાથીદારો ગુજરી ગયા અને બાકી બચેલા એકલા પડી ગયા તેમનું હવે શું, તેમની નવી વસાહતનું શું? ખુબ મોટી સંખ્યામાં મોટા પક્ષી જેવાકે કાગડા, સમડી, મોર વગેરે વાવાઝોડાનો માર ખાઈ અને વધારે પડતા ભીના થઇ માંદા થઇ જાય છે અને થૉડા સમયમાં તેઓનું જીવન ઓચિંતી આવી પડેલી માંદગીને કારણે ટૂંકું થઇ જાય છે અને તેમના ઈંડા અને બચ્ચા પણ ભોગ બની જાય છે. જે માળા બચી ગયા અને ઈંડા કે બચ્ચા રહી ગયા તેમનું ભવિષ્ય શું, લગભગ નહિવત! વૃક્ષ પડી જવાથી પક્ષીઓનો આશરો ક્યાં, પક્ષીઓને વૃક્ષમાંથી જે ખોરાક મળતો હતો અને તે વૃક્ષ પડીગયા તો તૅમનૉ તે બચી ગયેલા પક્ષીઓને વૈકલ્પિક ખોરાક કેવી રીતે અને ક્યાંથી મળશે?
જે કોઈ ડાળીઓ નુકશાન પામીને લટકી ગઈ હોય તેને પછીથી કાપી નાખીને ઉતારી લેવામાં આવે છે અને તેવા સમયે તેવી ડાળીઓ ઉપરના માળા બચાવવાનો પ્રયત્ન જાણમાં નથી. આ કરુણ ઘટના ઉપર માનવી બોલી નથી રહ્યો. બીજા માનવીના દુઃખનું પણ રડી ન શકે તેટલો અસંવેદનશીલ માનવી પક્ષીના દુઃખનું શું વિચારશે! કોઈએ તેમનું દુઃખ દર્દ કશું સમજવાનો ખાસ નોંધપાત્ર પ્રયત્ન નથી કર્યો અને હવે પ્રજાનું જીવન ધીમે ધીમે થાળે પાડવા માંડ્યું એટલે તે પક્ષીઓ અને વૃક્ષો ભુલાઈ જશે!
ગુજરાતના અમરેલી જિલ્લાના બાબરા પાસેના ગામમાંથી એવા સમાચાર આવ્યા અને ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ આવ્યા કે એક જ જગ્યાએ છસો સિત્તેરથી વધારે ચકલીઓ વાવઝોડાનાં લીધે ટપોટપ નીચે પડીને મૃત્યુ પામી છે. વૈજ્ઞાનિક કારણ એ કે નાના પક્ષી હોય તેઓ એકસોને એંસી કિલોમીટરની ઝડપના વાવાઝોડા સહન નથી કરી શક્તાં અને નાના પક્ષીઓને આવા સંજોગોમાં ખૂબ જ આઘાત લાગે છે જેના કારણે બહુ બધાં પક્ષી આઘાત પામે છે અને મૃત્યુ પણ પામે છે. આવા કારણોસર તે ટપોટપ નીચે પડવા માંડે છે. જ્યાં તેમની વસાહત હોય અને પક્ષીઓની સંખ્યા મોટી હોય ત્યાં મૃત્યું દર વધારે હોય અને જ્યાં ઓછા પક્ષી હોય ત્યાં મૃત્યું દર ઓછો હોય.
આ હકીકત ફક્ત એક જગ્યાની વર્ણવી છે. આવા ઘણાં પ્રકારના અસંખ્ય નાના પક્ષીઓ અને બીજા જીવ વાવાઝોડું જ્યાંથી પસાર થયું હશે તેવા લગભગ બધાજ વિસ્તારમાં મૃત્યું પામ્યા હશે, બચી ગયેલા આઘાત અને ભય અને બીમારીમાં હશે. તેઓની કોઈ પ્રકારની જાણકારી કોઈની પાસે નથી. તો કેટલાં નિર્દોષ અને અબોલ પક્ષીએ જીવ ગુમાવ્યો અને કોના વાંકે? જે વૃક્ષો પડી ગયા તેની બદલે નવા વૃક્ષ કોઈ વાવશે? આમેય વૃક્ષો ની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે અને સાથે સાથે પક્ષીઓ ઓછા થઇ ગયા છે. તો શું આ અસહ્ય નુકસાન ભરપાઈ કરવા માટે કોઈ કામ કરશે, તેમની સંખ્યા વધારવા માટે કોઈ કામ કરશે, કદાચ બહુ નેનો વર્ગ કામ કરશે.
આજે પર્યાવરણના જે પ્રશ્નો છે તેમાં વધારો થશે તે નક્કી થઇ ગયું, કુદરત વિરુદ્ધ માનવીએ છેડેલા યુદ્ધમાં એક લપડાક કુદરતે મારી દીધી અને ચેતવ્યા છે કે આમ થતુંજ રહેશે! અને કેમ નહિ કારણકે સ્વકેન્દ્રીત માણસને ફક્ત પોતાનોજ અને તે પણ ટૂંકા ગાળાનો વિચાર આવે છે. જે માનવી પોતાની આવનારી નવી પેઢીનું હીત વિચારી નથી શકતો તો તે માનવી બીજા જીવ માટે વિચારે તે માનવું કે અપેક્ષા રાખવી એ વધારે પડતી અપેક્ષા છે. લોકોમાં જાગૃતિ લાવવા માટે પર્યાવરણ દિવસ, જીવશ્રુષ્ટિ દિવસ, પાણી દિવસ વગેરે ઉજવી, કાર્યક્રમ કરી પાછા જ્યાં હતા અને જેવા હતા તેવા થઇ જીવન વ્યતીત કરવામાં લાગી જઈએ છીએ તે એક સાંપ્રત સમાજની એક મોટી ખામી છે.
ભૌતિક વિકાસમાં જે બધા પ્રશ્નો માનવજાતે ઊભા કર્યાં છે તેમાંનો એક સહુથી મોટો પ્રશ્ન છે જળ,વાયુ પરિવર્તન/ ક્લાઈમેટ ચેઇન્જ/ ગ્લોબલ વૉર્મિંગ. આ કારણસર વાવાઝોડા વારે વારે આવે છે અને તેમની તીવ્રતામાં ખુબજ વધારો થઇ રહ્યો છે. વગર વાંકે નિર્દોષ માણસો સહન કરી રહ્યાં છે અને સાથે સાથે પૃથ્વી પરના બીજા બધાં નાના મોટા બધાં જીવ મોટાપાયે, સતત અને જુદી જુદી રીતે સહન કરી રહ્યાં છે અને બહુ બધાં જીવ પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે, બધાં જીવની સંખ્યા નામશેષ થઇ રહી છે જે વિપરીત પરવારણને સહન નથી કરી શકતા તેઓ વહેલા અને ઝડપથી ઓછા થઇ રહ્યાં છે.
દરેક નાના કે મોટા વાવાઝોડા વખતે અસંખ્ય વ્રૃક્ષો નો નાશ થાય છે. આજે આ વ્રૃક્ષો કેમ તુટે છે અને તેને બચાવવા શું કરવું જોઈએ? લગભગ ઝાડ મૂળીયા સહીત તૂટે છે. કોઇ થડમાંથી નથી ભાંગ્યા. શહેર માં એકલ દોકલ અને રસ્તાના ને બે બાજુ વાવેલા ઝાડ વધુ તુટે છે. ખેતર માં એકલ દોકલ નાનુ મોટુ ઝાડ હોય તો તે જલ્દી તુટતા નથી.
શહેરમાં ઝાડને ફક્ત થડ પાસે જ પાણી કે ખાતર મળે છે. ફૂટપાથ ઉપર ઝાડની આજુ બાજુ ખામણાં ની જગ્યામાં કોન્ક્રીટ, ડામર, પેવીંગ સ્ટોનથી જમીન બંધ કરી દેવા આવે છે. ઝાડનું ગળું રૂંધાય તેવી દશા કરી દેવામાં આવે છે. વૃક્ષ મુખ્યત્વે બાર મહિનાનું પાણી ખામણાંથી પોતાના મૂળમાં જાતે વરસાદી પાણી જમીનમાં ઉતારી લે છે અને તેનાથી તેનું જીવન સચવાય છે. જો તેને જોઈતું પાણી ન મળે તો તેના મૂળીયા નબળા પડે છે. ઝાડનો ઘેરાવો જેટલો હોય તેથી ઓછામાં ઓછુ દોઢ ગણુ પટ ખુલ્લો રાખવો જરૂરી છે. આ ખુલ્લા પટમાં પાણી અચુક મલે તેમ કરવુ જોઈએ જેથી મૂળીયા બરાબર ચારે બાજુ અને ઊંડા ફૂલે ફાલે. વાંરવાર પાન અને ડાળીઓ કાપવાથી મૂળ ને પોષણ મળતું નથી તેથી પણ મૂળ નબળા જ રહે અને ઉંડા નથી જતા અને મૂળ ઊંડા ન હોવાના કારણે ઝાડના બટકણા રહી ગયેલા મૂળ તૂટી જાય છે. જ્યાં વૃક્ષોની સંખ્યા વધારે હોય કે ઝુંડમાં હોય ત્યાં જે ડીશમાંથી પવન વાય તે દિશના વૃક્ષને માળ પડે છે અને તે માળ ઝીલે છે માટે બાકીના વૃક્ષને માળ ઓછો પડે છે. આવી જગ્યાએ પક્ષીઓએ માળા સ્વાભાવિક રીતે વૃક્ષોના ઝુંડમાં સલામતી ખાતર અંદર તરફ બનાવેલા હોઈ તેવા માળા, તેના ઈંડા કે બચ્ચા બચવાની શક્યતા વધારે રહે છે.
વાવાઝોડા થકી જે પ્રશ્નો ઉભા થાય છે તેમાં માનવી સિવાયનાં અસર પામતા બીજા જીવ, ખાસ કરીને પક્ષીઓની અને વૃક્ષોની વાત ઉજાગર કરવાનો પ્રયત્ન છે જેઓની સંખ્યા ખુબજ ઝડપથી ઘટી જાય છે અને પર્યાવરણના પ્રશ્નો વધતા જાય છે.
ભૌગોલિક રીતે જે પ્રદેશમાં મોટા અને ભારે વાવાઝોડા આવતા હોતા નથી ત્યાં આવા વાવાઝોડા આવે છે તેના માટે મુખ્યત્વે જળ,વાયુ પરિવર્તન/ ક્લાઈમેટ ચેઇન્જ જવાબદાર છે અને તેના પર્યાવરણને છેટા મૂકી કરવામાં આવતો ભૌતિક વિકાસ જવાબદાર છે. આ ગ્લોબલ વોર્મિંગ એ એક ગ્લોબલ વોર્નિંગ છે.
(વિડિઓ અને ફોટોગ્રાફ્સ: સોશ્યિલ મીડિયા)
આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ, સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો