હૈદરાબાદમાં દુષ્કર્મનાં આરોપીઓનાં કથિત એન્કાઉન્ટર અંગે પોલીસે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે, આજે સવારે જ્યારે આરોપીઓને ઘટના સ્થળે સીન રીક્રિએટ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન બે આરોપીઓએ પોલીસથી બચીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ પોલીસની બંદૂક છીનવી લઇ ગોળી ચલાવી હતી, ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં ચારેયનાં મોત નીપજ્યાં હતાં. પોલીસ કમિશ્નર વીસી સજ્જનારે જણાવ્યું હતું કે ચારેય આરોપીઓની લાશ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. એન્કાઉન્ટર પરનાં પ્રશ્નો અંગે તેમણે કહ્યું કે કાયદાએ તેનું કામ કર્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી જ આ પ્રેસ કોન્ફરન્સ કરી છે.
પોલીસ કમિશ્નરે કહ્યું, “આ કેસની તપાસ કર્યા પછી, 4 અને 5 ડિસેમ્બરે અમે આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લીધા બાદ પૂછપરછ શરૂ કરી હતી.” આજે સવારે પોલીસે તપાસ આગળ ધરી આરોપીઓને ઘટના સ્થળે લઇ ગયા હતા. અહીં આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો અને હથિયાર છીનવી લીધા હતા અને પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું.
પોલીસ કમિશ્નર સજ્જનારે કહ્યું કે, આરોપીઓનાં ફાયરિંગ કર્યા પર પોલીસે તેમને શરણાગતિ આપવાની ચેતવણી આપી હતી પરંતુ તેઓ ફાયરિંગ કરતા રહ્યા. જેના જવાબમાં પોલીસે ફાયરિંગ કરતાં ચારેય આરોપીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. એન્કાઉન્ટર દરમિયાન બે પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા છે. બન્ને હોસ્પિટલમાં દાખલ છે. તેમણે કહ્યું કે 10 જેટલા પોલીસકર્મીઓ તેમને ઘટના સ્થળે લઈ ગયા હતા.
પોલીસે જણાવ્યું કે, અમે આરોપીની લાશને પીએમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં મોકલી આપી છે. તેમના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. પોલીસનું કહેવું છે કે માનવાધિકાર આયોગ જે પણ પૂછશે તે સવાલોનાં જવાબ આપવામાં આવશે. વળી પોલીસે એમ પણ કહ્યું છે કે આ લોકો કર્ણાટકનાં અનેક ગુનામાં સંડોવાયેલા હોવાની શંકા છે, આ અંગે તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.