મનન : ભાવિની વસાણી @ મંતવ્ય ન્યૂઝ
ઘણા લોકો દુનિયાને બદલી નાખવાની ખેવના રાખતાં હોયછે અને તેં પણ માત્ર શબ્દોથી જ. એવું નથી કે શબ્દોમાં તાકાત નથી હોતી, શબ્દોમાં તાકાતતો હોય છે જ. એક શબ્દ ઘા આપે છે જ્યારે એ જ શબ્દની રજૂઆત અલગ રીતે કરવામાં આવેતો એનો એજ શબ્દ ઘા પરના મલમનું કામ કરે છે. હા, પણ દુનિયાને બદલતા પહેલા સૌપ્રથમ દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. શા માટે અમુક લેખકો સાવ સામાન્ય વાત રજુ કરીને પણ લોકોના દિલો પર રાજ કરેછે? શા માટે એક સામાન્ય કર્મચારીને પણ લોકો માનની દ્રષ્ટિએ જુએ છે? શા માટે સાવ સીધાં-સાદા પાડોશીને લોકો ચાહે છે? શા માટે કોઈ પક્ષના નેતા ન હોવાં છતાં સમાજસેવા કરનારાઓને લોકો આદર આપે છે? હવે ઉપરોક્ત પ્રશ્નોના જવાબ આપવા કરતાં પ્રશ્નોની બીજી બાજુને પણ આપણે જોઈએ કદાચ જવાબ તેની અંદર જ આવી જતો હોય.
શા માટે મોટા મોટા અને અઘરી ભાષાના લખાણો છતાં અમુક લેખકો લોકપ્રિય નથી બનતાં? શા માટે અમુક શિક્ષકો વિદ્યાર્થીઓમાં અપ્રિય હોય છે? શા માટે કોઈ ફર્મમાં ઉપરી અધિકારીને લોકો પાછળથી ધિક્કારે છે અથવા તો અવમૂલ્યન કરે છે? શા માટે કોઇ પક્ષના નેતા હોવાં છતાં સમાજસેવા ન કરનારાને લોકો આદર નથી આપતાં ? આ બધાંજ પ્રશ્નોનાં જવાબ એક જ વાક્યમાં આવી જાય છે. તમારો દ્રષ્ટિકોણ કે અભિગમ કેવો છે તેનાં આધારે જ લોકો તમને મૂલવતા હોય છે.
સામાન્ય રીતે દ્રષ્ટિકોણ બે પ્રકારનાં હોય છે, હકારાત્મક અને નકારાત્મક…તેમજ વર્તણુક પણ આ જ બે પ્રકારની હોય છે. જોવા વાળાને ચંદ્રમાં પણ ડાઘ દેખાશે. તો બીજી બાજુએ કોઈ સામાન્ય માણસમાં પણ લોકોને ઈશ્વરના દર્શન થાય છે. હીરા ની પરખ ઝવેરીને હોય છે તેજ રીતે ઘણાં શિક્ષકોને સામાન્ય બાળકમાં પણ કોઈ ભાવિ નેતા કે કલાકારનાં દર્શન થશે તો એ જ બાળકને અન્ય શિક્ષક તોફાની, વાતોડિયો કે બારકસ લાગે છે. દ્રષ્ટિનો જ બધો ખેલ છે. જ્યારે ભારત દુનિયાની ગુલામી કરતું હતું ત્યારે આપણાં મહાપુરૂષોને ભવિષ્યનું આઝાદ ભારત દેખાતું હતું. આપણે દ્રષ્ટિકોણ તરફ આગળ વધીએ અને કહેવાના ભાવાર્થને સમજવાની કોશિશ કરીએ.
શા માટે અમુક લોકો સવારથી ઊઠીને ફરિયાદ જ કર્યા કરતા હોય છે? તેમણે જીવનને ખેલદિલીથી સ્વિકારી લેવું જોઈએ. મને યાદ આવે છે એ બાળવાર્તાઓ જે મેઁ નાનપણમાં સાંભળી હતી. જેમકે તરસ્યો કાગડો, સાબરનાં શિંગડા, કાચબો અને સસલું, ખાટી દ્રાક્ષ, બિલાડીઓ અને વાંદરો, સિંહ અને ઉંદર. આ બધીજ વાર્તાઓની શીખ હતી તેને આપણે બાળપણમાં જ દફનાવી દીધી? તમારી જાતને પુછો તમને શું ક્યારેક આ બધાં કંટાળાજનક સંબોધનોની કાચળી ઉતારીને તમારી અંદરના બાળકને બહાર લાવવાની ઇચ્છા નથી થતી ? દરેક વ્યક્તિને માત્ર જરૂર છે એને બહાર લાવીને બાળકની જેમ જ દરેક વસ્તુને સ્વિકારવાની તથા દરેક વ્યક્તિને તેમજ પરિસ્થિતિને પણ જેવી છે તેવી સ્વિકારી લેવાની.
હા, પરંતુ અત્યારેતો બાળકમાં પણ બાળક જોવા નથી મળતું ! આપણે બાળકને પણ ટોકી ટોકીને કે ઠોકી ઠોકીને આપણી દ્રષ્ટિએ દુનિયા બતાવીને ખરેખર વડિલ બાળક બનાવી દીધું છે. ઘણા વાલીઓ આમ ન કરાય ..,તને ન આવડે…, તું નાનો છે…,તને ખબર ન પડે..વગેરે રીતે ટોકી ટોકી ને બાળકને લઘૂતા તરફ ધકેલી દીધું છે, તો આમ કરાય, તેમ કરાય, મહેમાન આવે તયારે આમજ રહેવાય, આમ ન બોલાય, આની હાજરીમાં આમ ન કરાય, પેલાની હાજરીમાં તેમ કરાય વગેરે રીતે ઠોકી ઠોકીને બાળકને તેની ઉમર કરતાં વહેલું પરિપક્વ બનાવી દીધું છે. બાળકનો અભિગમ બદલવા નિકળેલા દરેક વાલી પોતાની જાતને ઢંઢોળીને પૂછે કે શું તમારો પોતાનો અભિગમ સાચો છે એની તમને ખાતરી છે. અમુક શિક્ષકો ક્લાસમાં પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસાવૃતિ વાળા બાળકની જિજ્ઞાસા સંતોષવાને બદલે ડામી દેતા હોય છે. અને બધાની વચ્ચે ટોકી ટોકીને સહજતા અને સરળતાને મારી નાખતાં હોય છે. મારી કોઈ શિક્ષક સામે દુશ્મની નથી, પણ શિસ્તનાં નામે ઘણી શક્તિઓને બહાર આવવાનો અવકાશ જ નથી મળતો અને બાળકને શાળા જેલ જેવી લાગે છે તથા શિક્ષકો જેલર. હવે,તમે જ કહો કે બાળકને શિક્ષકમાં જેલરનાં દર્શન થશેતો તેનો આદર્શ કોણ બનશે?
ફરીથી મૂળ વાત પર આવીએ શા માટે અમુક લોકો આખો દિવસ કકળાટ જ કરે છે અને દુનિયા માટે ફરિયાદ જ કરે છે કે હંમેશા દોષના ટોપલા અન્યો પર ઢોળતાં રહે છે? શા માટે દેશના રાજકીયપક્ષો એક-બીજાને નીચા પછાડવાના કાર્યો કરે છે જ્યારે પોતાના કામના ગાણા ગાયા કરે છે?કારણ કે તેઓ કરતાં નથી હોતા… અને જેઓ કરી રહ્યા છે તેઓ ખરેખર કહેતાં નથી હોતા.
નાનપણમાં મારી શાળામાં બોલાતી પ્રાર્થનાના શબ્દો કંઈક આવા હતા…. “વિશ્વાસના બળથી ખસેડી જો શકુ પર્વત કદી તો પણ નથી જો પ્રિત મુજમા, તો ખરે હું કંઈ નથી.” અત્યારે લોકોને કકળાટ અને કંટાળાનો રોગ વળગ્યો છે. જેથી કરીને તેઓ ખુલ્લા મને વાત કરવાની વાતતો ભૂલી જ જાવ હસી પણ શકતા નથી. તેનું કારણ તેઓ પોતાના હોંશ ગુમાવી ચુક્યા હોય છે. તેઓ કોઈને કોઈ પ્રકારના નશામાં જીવતા હોય છે. અને આ નશો કોઈ બીડી, સિગારેટ કે દારૂનો નહીં પણ તેમનાં ‘અહં’નો નશો હોય છે, કોઈને પોતાની સફળતાનો નશો હોય છે આવા લોકો હંમેશા પાણીમાંથી પોરા કાઢવા નો અભિગમ ધરાવતા હોય છે. તેઓ કદી મુક્ત મને કોઈનાં વખાણ નથી કરતાં હા, ટીકા જરૂર કરતાં હોય છે. ચાલો હવે આ વાત અહીં જ પડતી મુકું નહિતર આપણે પણ એમના જેવું જ વિચારવા લાગ્યા તેવું કહેવાશે. આ ચર્ચાનું હાર્દ એ જ છે કે દુનિયાને સુધારવાની શરૂઆત આપણાથી જ કરીએ, ભૂલો કાઢવી સારી બાબત છે પણ ભૂલોને સુધારીને જોવાની દ્રષ્ટિ કેળવવી, તમારી અંદરના બાળકનાં ગુણો જેવા કે સરળતા, સહજતા વગેરેને કોઈપણ પરિસ્થિતિમાં ન ગુમાવો, મુકત મને લોકોની પ્રશંસા કરો, બાળકોની સાથે સૂચનોમાં નકારાત્મક વિધાનોનો ઉપયોગ ન કરો તથા બાળકને પણ તેની ઉંમર કરતાં વધારે મોટો કે કૃત્રિમ ન બનાવો. આજને જીવો, જિંદગીને ચાહો ખુશ ખુશાલ રહો તથા તમારી આજુબાજુની ફરિયાદો કરવા કરતાં તમે જવાબદારી લો અને સ્વિકારો, તમારાં કાર્યને પૂરતી કાર્યદક્ષતાથી કરશો તો તમને કોઈ ની ભૂલો નહીં દેખાય અને તમે કરેલા કાર્યનો આત્મસંતોષ મળશે, ખરૂં કે નહિ?