ગુજરાત/ રાજકોટમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ,વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે પવનની દિશા ફરી છે. દરિયાઇ પવનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઝાકળ વર્ષા થઇ રહી છે. આગામી બે દિવસ હજી ઝાકળ વર્ષા થશે.

Gujarat Rajkot
Untitled 99 રાજકોટમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ,વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે જોરદાર ઝાંકળ વર્ષા  જોવા મળી  હતી. જેમાં   આજે રાજકોટમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકાએ પહોંચી જતા વિઝિબિલિટી માત્ર 200 મીટરની જોવા મળી રહી હતી. ગાઢ ધુમ્મસના કારણે હાઇવે પર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દિવસે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડીહતી. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરતળે હજી બે દિવસ ઝાકળ વર્ષા થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ધુમ્મસથી ઠંડીનું જોર ઘટ્યું છે. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ડબલ ડિજિટમાં પહોંચી જવા પામ્યો છે. દરમિયાન આગામી 5 કે 6 ફેબ્રુઆરીથી ફરી ઠંડીનો નવો રાઉન્ડ આવશે.

આજે વહેલી સવારે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની ધરતીએ જાણે ઝાંકળનું ઓઢણું ઓઢી લીધુ હોય તેવું આહલાદ્ક વાતાવરણ જોવા મળ્યુ હતુ. જાણે કોઇ હિલ સ્ટેશનમાં હોય તેવો અનુભવ લોકોને થતો હતો. આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રીએ પહોંચી જવા પામ્યુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકા અને પવનની સરેરાશ ઝડપ 5 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. જોરદાર ઝાકળ વર્ષાના કારણે વિઝિબિલીટી માત્ર 200 મીટર રહેવા પામી હતી. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી, અમરેલીનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી, નલીયાનું લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી, જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યુ હતું.

આ પણ વાંચો:જરાત / જુનાગઢની એસ.આર. એલ.લેબોરેટરીમાં આગ લગાતા અફડાતફડીનો માહોલ સર્જાયો

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આગામી 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફ વર્ષા થયાની પ્રબળ સંભાવના રહેલી છે. જેની અસરતળે આગામી 5 અથવા 6 ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. 15મી ફેબ્રુઆરી સુધી ઠંડીનો રાઉન્ડ આવશે ત્યારબાદ એક મહિનો અર્થાત 15 માર્ચ સુધી મિશ્ર ઋતુનો અનુભવ થશે. વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો ચમકારો જોવા મળશે અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે.

આજે જોરદાર ઝાકળ વર્ષાના કારણે હાઇવે પર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દિવસે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ઝાંકળ વર્ષાના કારણે અમુક શિયાળુ પાકને ફાયદો થયો છે જ્યારે અમુક પાકોને નુકશાની થવા પામી છે.

આ પણ વાંચો:સુરત /  શોર્ટ વીડિયો બનાવતા 21 વર્ષના યુવકને મળ્યું મોત, વાંચો શું છે ઘટના