દેશમાં માત્ર નામની કહેવાતી વિરોધ પાર્ટી કોંગ્રેસ આજે એક્શન મુડમાં આવી ગઇ છે. આજથી નરેન્દ્ર મોદી સરકાર સામે કોંગ્રેસ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. કોંગ્રેસનું આ પ્રદર્શન 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ચાલશે. આ પ્રદર્શનમાં કોંગ્રેસ વર્તમાન આર્થિક સંકટ, બેરોજગારી, મોંઘવારી, બેંકિંગ સિસ્ટમ પરની કટોકટી, સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરીમાં કાપ, ખેડૂતોની સમસ્યાઓ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
કોંગ્રેસ સંગઠનનાં જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે કહ્યું છે કે પાર્ટીનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાની હેઠળ પાર્ટીનાં શાસિત રાજ્યોનાં મહાસચિવ, રાજ્ય પ્રમુખો અને મુખ્યમંત્રીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસે લોકોને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં સરકારની સરમુખત્યારશાહી નીતિઓ સામે રસ્તાઓ પર ઉતરે અને તેમની નારાજગી અંગે સરકારને માહિતગાર કરે. કોંગ્રેસનું કહેવું છે કે, કેન્દ્ર સરકારની લોક વિરોધી આર્થિક નીતિઓને કારણે દેશનાં લોકોમાં નિરાશાનું વાતાવરણ છે. પક્ષે કહ્યું કે, સમાજનો દરેક વર્ગ કોઈને કોઈ રીતે સરકારી પજવણીથી પીડિત છે અને જનતામાં બધે સરકાર સામે ગુસ્સો છે.
કોંગ્રેસે તેના કાર્યકરો અને નેતાઓને અપીલ કરી છે કે ગલી મહોલ્લાઓએ જાઓ અને લોકો સાથે વાત કરો અને આ સરકારની નીતિઓને ઉજાગર કરો. 2 નવેમ્બરનાં રોજ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રદર્શનની તૈયારીઓનો જાણકારી લેવા એક બેઠક યોજી હતી. કોંગ્રેસે આ પ્રદર્શન પર નજર રાખવા માટે કોંગ્રેસનાં 31 વરિષ્ઠ નેતાઓને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસનાં નેતાઓ દેશનાં મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને આર્થિક મંદી, બેરોજગારી, કૃષિ સંકટ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.