નવી દિલ્હી,
વર્ષ ૧૯૯૪ના રામજન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ સાથે જોડાયેલા મુદ્દે ગુરુવારે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો છે. આ મામલે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જણાવવામાં આવ્યું કે, ૧૯૯૪ની બંધારણીય ખંડપીઠના નિર્ણય પર પુર્નવિચાર કરવાની કોઈ જરૂરત નથી અને હવે આ મામલો કોર્ટની મોટી બેંચ પાસે મોકલવામાં આવશે નહિ.
૨ – ૧ (પક્ષ-વિપક્ષ)ના નિર્ણયના હિસાબથી અપાયો ચુકાદો
સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચ દ્વારા ૨ – ૧ (પક્ષ-વિપક્ષ)ના નિર્ણયના હિસાબથી પોતાનો ચુકાદો આપ્યો છે. ત્યારે હવે ૨૯ ઓક્ટોબરના રોજથી ટાઈટલ શૂટ પર સુનાવણી શરુ થશે.
આ ઉપરાંત શીર્ષ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું, “મસ્જિદમાં નમાજ એ ઇસ્લામનો અભિન્ન ભાગ નથી. નમાજ ગમે તે જગ્યાએ કરી શકાય છે, એટલા સુધી કે બહાર ખુલ્લામાં પણ”.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, મસ્જિદમાં નમાજનો મામલો એ અયોધ્યાના જમીન વિવાદથી તદ્દન રીતે અલગ છે.
પાંચ જજોની ખંડપીઠ પાસે મોકલવામાં આવશે નહિ
સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, આ બહુચર્ચિત મામલો કોર્ટની પાંચ જજોની ખંડપીઠ પાસે મોકલવામાં માટે ઇનકાર કર્યો છે અને આદેશ આપવામાં આવ્યો છે કે, રામજન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ મામલે હવે ત્રણ જજોની બેંચ ટાઈટલ શૂટ હેઠળ જમીન વિવાદને લઇ સુનાવણી કરશે.
ત્રણ જજોની ખંડપીઠે આપ્યો ચુકાદો
સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચ દ્વારા ૨ – ૧ (પક્ષ-વિપક્ષ)ના નિર્ણયના હિસાબથી પોતાનો ચુકાદો આપ્યો છે. આ ત્રણ જજોની ખંડપીઠમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ નજીર શામેલ છે.
જેમાંથી જસ્ટિસ અશોક ભૂષણ દ્વારા પોતાનો અને ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનો નિર્ણય વાંચ્યો હતો, જયારે જસ્ટિસ નજીરે અલગથી પોતાનો નિર્ણય વાંચ્યો હતો. ત્યારે હવે ૨૯ ઓક્ટોબરના રોજથી ટાઈટલ વિવાદ પર સુનાવણી શરુ થશે.
૧૯૯૪ના ચુકાદાને છે સમજવાની જરૂરત છે : જસ્ટિસ અશોક ભૂષણ
જસ્ટિસ અશોક ભૂષણ દ્વારા પોતાનો અને ચીફ જસ્ટિસનો નિર્ણય વાંચતા જણાવ્યું, “આ મામલાને મોટી બેંચ પાસે મોકલવાની કોઈ જરૂરત નથી. જે નિર્ણય ૧૯૯૪માં આપવામાં આવ્યો હતો તેને સમજવાની જરૂરત છે”.
તેઓએ વધુમાં કહ્યું, “જે પાછળનો નિર્ણય હતો એ માત્ર જમીન અધિગ્રહણના હિસાબથી આપવામાં આવ્યો હતો”.
જસ્ટિસ નજીરે દર્શાવી અસહમતી
બીજી બાજુ બે જજોના નિર્ણય અને અસહમતી દર્શાવતા જસ્ટિસ નજીરે કહ્યું, “તેઓ આ બેંચના સાથી જજોના નિર્ણય સાથે અસહમત છે”.
તેઓએ વધુમાં કહ્યું, “વર્ષ ૨૦૧૦માં અલ્હાબાદ હાઈકોર્ટનો જે નિર્ણય આવ્યો હતો, તે ૧૯૯૪ના આપવામાં આવેલા નિર્ણયના પ્રભાવમાં આપવામાં આવ્યો હતો. તેનો મતલબ છે કે, આ મામલો મોટી બેંચ પાસે જ જવો જોઈએ”.
વર્ષ ૧૯૯૪માં અપાયો હતો આ નિર્ણય
મહત્વનું છે કે, વર્ષ ૧૯૯૪માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચ દ્વારા ઈસ્માઈલ ફારૂકી કેસમાં રામ જન્મભૂમિ મામલે યથાસ્થિતિ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો, જેથી હિંદુઓ પૂજા કરી શકે.
આ પાંચ જજોની બેંચ દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે, મસ્જિદમાં નમાજ વાંચવું એ ઇસ્લામનો જરૂરી ભાગ નથી.
જો કી ત્યારબાદ ૨૦૧૦માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા પોતાના ચુકાદામાં અયોધ્યાની જમીનના ત્રણ ભાગ કરતા ૧/૩ હિંદુ, ૧/૩ મુસ્લિમ અને ૧/૩ રામ લલાને આપી હતી.