સૌરાષ્ટ્રમાં હવે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થતી જોવા મળી રહી છે .સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા બાદ આવેલા વરસાદથી મોટા ભાગના ચેકડેમ અને તળાવોમાં નવા નીર આવ્યા છે ત્યારે ચોમાસું સમયસર આવતા ફરી મેઘરાજાની એન્ટ્રી વિધિવત થઈ ચૂકી છે. ભાવનગરના મહુવા જેસર પંથકમાં સારો એવો વરસાદ નોંધાયો છે .
જો કે તળાજા તાલુકામાં 42 એમ એમ નોંધાયો છે જ્યારે મહુવા ગામ કે તળાજા ગામમાં વરસાદના કોઈ સંચાર નથી એટલે મેઘરાજાએ ગામડાઓમાં પધરામણી કરી હતી. મહુવાના મોટા ખૂંટવડા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થયો હતો.
મહુવા પંથકના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ થયો છે. મહુવા પંથકના મોટા ખુંટવડા, ગોરસ, બોરડી, કીકયા સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, મહુવાની સ્થાનિક માલણ નદીમાં ઘોડાપુરીર આવ્યું હોય તેવા દ્રશ્યો ઉભા થયા હતા. મહુવાની નદીમાં નવા-નીરની સારી આવક થઇ હતી.
વરસાદના કારણે વાડી ખેતરમાંથી પાણી નીકળી ગયા હતા અને વાવણી જોગ વાતાવરણ સર્જાતા વાવણીયા જોતરવાની, વાવેતરની તૈયારી ખેડૂતોએ શરૂ કરી દીધી છે.