ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અજય કોઠીયાલ ભાજપમાં જોડાઈ ગયા છે. આ પ્રસંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હાજર રહ્યા હતા. કર્નલ (નિવૃત્ત) અજય કોઠીયાલે 18 મેના રોજ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં ગંગોત્રી સીટ પરથી ચૂંટણી લડનાર કોઠીયાલે પોતાની ડિપોઝીટ ગુમાવી હતી.
મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લખેલા તેમના પત્રમાં કર્નલ કોઠિયાલે કહ્યું હતું કે, “હું 19 એપ્રિલ 2021 થી 18 મે 2022 સુધી આમ આદમી પાર્ટીનો સભ્ય રહ્યો છું. ભૂતપૂર્વ સૈનિકો, અર્ધલશ્કરી દળોના ભૂતપૂર્વ સૈનિકો, વડીલો, મહિલાઓ, યુવાનો અને બૌદ્ધિકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને, હું તમને 18 મેના રોજ મારું રાજીનામું મોકલી રહ્યો છું.”
CM કેજરીવાલે ગયા વર્ષે ઓગસ્ટમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે કોઠિયાલના નામની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ભૂતપૂર્વ સૈન્ય અધિકારીને પસંદ કરવાનો નિર્ણય રાજ્યના લોકો તરફથી મળેલા પ્રતિસાદ પર આધારિત છે.
AAPની ઉત્તરાખંડ માટે મોટી યોજનાઓ હતી કારણ કે તેણે રાજ્યની તમામ 70 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જોકે, પાર્ટી રાજ્યમાં પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.
આ પણ વાંચો: અખિલેશ યાદવ કયા નેતાઓને રાજ્યસભાના ઉમેદવાર બનાવશે? આ નામોની ચર્ચા થઈ રહી છે