સુરત જિલ્લામાં દરિયાઈ કાઠા ના વિસ્તારોમાં કુદરતી ખાડીઓને થઈ રહેલા નુકસાન અને મેગ્રુવ જંગલોના થઈ રહેલા નાશ તથા વરસાદી પાણીના નિકાલની સમસ્યાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવો થાય છે જેનું મુખ્ય કારણ ગેરકાયદેસર ઝીંગાના તળાવો છે. સદર બાબતે વિજિલન્સ વિભાગમાં રજૂઆતો કરવા છતાં પણ આજદિન સુધી કોઈ પણ જાતની અસરકારક કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ નથી.
જે બાબતે દર્શનભાઈ નાયક અને યોગેન્દ્ર પટેલ દ્વારા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનણી ને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી રજુઆત કરવામાં આવેલ હતી. જે રજૂઆતને ધ્યાને લઇ પરેશભાઈ ધાનાણી દ્વારા ગુજરાત ના મુખ્ય સચિવ, ગાંધીનગર ને તા.03/06/2021 ના રોજ પત્ર લખી ગેરકાયદેસર ઝીંગાના તળાવો સામે કાયદેસર ની કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી હતી.
આ ખાડીઓમાં વરસાદમાં પૂર આવતા આસપાસના લોકોની હાલત કફોડી બને છે. લોકોની ઘરવખરી, કિંમતી સામાનને પણ ભારે નુકસાન થાય છે. શહેરની ખાડી અને કીમ નદી પર સીઆરઝેડ અને સીવીસીએ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા છે. જેને લઈને આ વારંવાર આસપાસના રહીશોને માથે પૂરનું સંકટ તોળાય છે. આ મામલે પર્યાવરણવાદી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સુરત જિલ્લાના કલેક્ટરોને નોટિસ પાઠવી હતી. પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી .