ધી ઓસ્કાર ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી શરૂ કરી 4 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવડાવી હજારો લોકો સાથે છેતરપિંડીના ગુનામાં ભાગતા ફરતા કંપનીના ડિરેક્ટર અને મુખ્ય આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. 6 વર્ષથી વોન્ટેડ હતો અને આ મામલે તેની સામે ભરૂચ જિલ્લાના હાસોટ અને તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો છે.
છેતરપિંડીના ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવામાં સુરતને મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, છેતરપિંડીના ગુનામાં છ વર્ષથી ભાગ તો ફરતો આરોપી પરીક્ષિત નાયક પાંડેસરા વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટી નજીક આવેલી લક્ષ્મીનારાયણ આયુર્વેદિક સ્ટોર પર ગયો છે તેથી પોલીસે બાતમીના આધારે પરીક્ષિત નાયકની ધરપકડ કરી હતી.
પરીક્ષિત નાયકે પોલીસની પૂછપરછમાં કબુલાત કરી હતી કે, તે વર્ષ 2007માં ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ નામની કંપનીમાં તે નોકરી કરતો હતો. ત્યારબાદ 2009 અને 10માં ઓડિશામાં ઓસ્કાર કંપની પર કેસ થયો હોવાના કારણે આ કંપની બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ કંપનીનો માલિક પ્રભાસ રાઉત અને મુન્નાએ સુરતમાં આવીને ઉધના બસ ડેપો ખાતે ઓસ્કાર કંપનીની ઓફિસનું નામ બદલી નાખી ઓસ્કાર ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી તરીકે નવી ઓફિસ શરૂ કરી હતી.
આ કંપનીમાં આરોપી પરીક્ષિત નાયક ડિરેક્ટર તરીકે કામ કરતો હતો અને તેને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં શાખાઓ શરૂ કરી એજન્ટો મારફતે લોકો પાસે રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું ત્યારબાદ વર્ષ 2015 બાદ આ કંપની બંધ થઈ ગઈ હતી અને કંપનીના લોકો સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાવવા લાગ્યા હતા. ત્યારબાદ થી પરીક્ષિત નાયક પોલીસથી બચવા માટે ભાગતો ફરતો હતો પરંતુ 6 વર્ષ બાદ સુરત SOG પોલીસે આરોપી પરીક્ષિતની ધરપકડ કરી.
28-7-2016માં આ કંપની સામે તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. 2016ના રોજ ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસ સ્ટેશનમાં કંપની સામે ગુનો દાખલ થયો હતો. સોનગઢ પોલીસ સ્ટેશનમાં 3.7 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી અને હાંસોર્ટમાં 1.68 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.