@અભિષેકસિંહ વાઘેલા
અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ આજે જરૂરિયાતમંદ અને પીડિતને નવજીવન આપવાનો કર્મયજ્ઞ બન્યો છે. ૨૩ મી ઓગષ્ટે સમગ્ર દેશ માટે ગૌરવવંતી બાબત એવી ચંદ્રયાન-3 ની સફળતા આ તારીખને ઇતિહાસના પાનામાં અમર કરી ગઇ. તેવી જ રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૪ ઓગષ્ટની વહેલી સવારે અંગદાન ક્ષેત્રે અકલ્પનિય અને અસાધારણ સિધ્ધી નોંધાઇ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત પાંચ કલાકના ટુંકા ગાળામાં ૨ સફળ અંગદાન થયા. આ બે અંગદાન થી ૮ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.સિવિલ હોસ્પિટલના ૧૨૭ માં અંગદાનમાં ૪૭ વર્ષના મહિલા દર્દીને ચક્કર આવતા ઢડી પડ્યા હતા. જેથી તેમને સધન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જેમના રીટ્રાઇવલમાં હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
આ ઐતિહાસિક ક્ષણમાં ૩૨ વર્ષના બ્રેઇનડેડ સુખદેવ પ્રજાપતિનું અંગદાન પણ સામેલ થયું છે. જેઓ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમના રીટ્રાઇવલમાં હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.આ આઠેય અંગો સિવિલ મેડિસીટીની જ યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ અને કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના શીર્ષ માર્ગદર્શન અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યની સરકારી હોસ્પિટલમાં જ રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટની વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં આવી છે. જેના પરિમાણે આજે અંગદાનમાં મળેલા આઠેય અંગો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સરકારી હોસ્પિટલમા જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવવાના છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, યુ.એન. મહેતાના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી, કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રા, SOTTO ના ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદીએ આ અંગદાન અને પ્રત્યારોપણના કિસ્સાને ઐતિહાસિક અને અવિસ્મરણીય ગણાવ્યા હતા.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. જોષીએ આ ભવ્ય સફળતા બદલ સિવિલ હોસ્પિટલની અંગદાન સાથે સંકળાયેલી સમગ્ર ટીમને સાધુવાદ આપીને તેમની તપસ્યા અને ફરજનિષ્ઠાને બિરદાવી હતી.ડૉ. જોષીએ આ પાંચ કલાક અને કાઉન્સેલીંગ થી લઇ રીટ્રાઇવલ ની સમગ્ર પ્રક્રિયા સાથે સફળ અંગદાન માટે હોસ્પિટલના તબીબોના અથાગ પ્રયત્નોની સરાહના પણ કરી હતી.
આ પાંચ કલાકમાં થયેલા બે અંગદાન થકી સિવિલ હોસ્પિટલમાં થયેલ અંગદાનની સંખ્યા કુલ ૧૨૮ પહોંચી છે. જેણે ૪૧૩ જરૂરિયાતમંદોને નવજીવન આપ્યું છે. આ ૧૨૮ અંગદાતાઓ દ્વારા મળેલા અંગોમાં ૩૭ હ્રદય, ૨૨૪ કિડની, ૧૧૧ લીવર, ૨૪ ફેફસા , ૯ સ્વાદુપિંડ , ૬ હાથ અને બે નાના આંતરડાનો સમાવેશ થાય છે.
યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશીએ જણાવ્યું હતું કે,હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની મંજુરી મળ્યા બાદ આજે ૧૬ મું ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યુ છે. જેમાં પણ સતત ૧૦ કલાકની ભારે જહેમતના અંતે આજે સફળતાપૂર્વક બે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કરાયા છે.જે અમારી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સમગ્ર ટીમ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.
આ પણ વાંચો:Sardar Patel International Airport/સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે નવનિર્મિત અરાઇવલ હોલનું ઉદ્ઘાટન
આ પણ વાંચો:Ahmedabad/અમદાવાદ ખાતે ઓગસ્ટ માસનો જિલ્લા કક્ષાનો યોજાયો ‘સ્વાગત કાર્યક્રમ’
આ પણ વાંચો:bilkisbano case/બિલ્કીસ બાનો કેસમાં છૂટેલા દોષિતોમાંથી એક વકીલ તરીકે કરી રહ્યો છે પ્રેકટીસ! સુપ્રીમ કોર્ટે કરી કડક ટિપ્પણી,જાણો શું કહ્યું…