Ahmedabad News: અમદાવાદમાં આવેલી રજની હોસ્પિટલમાં માતા અને બાળકના મોત થયાનો આક્ષેપ કરી પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. તેમજ કેરોસીન છાંટીને હોસ્પિટલને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ બનાવથી ડોક્ટરો અને હોસ્પિટલનો સ્ટાફ ભયભીત થયા હતા. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરાતા રામોલ પોલીસની ટીમ સીટીએમ વિસ્તારની રજની હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના સીટીએમ વિસ્તારમાં આવેલી રજની હોસ્પિટલમાં તબીબોની બેદરકારીથી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું તેવો આક્ષેપ મહિલાના પરિવારે કર્યો છે. આ બનાવને પગલે મહિલાના પરિવારજનોએ આવેશમાં આવી હથિયાર સાથે હોસ્પિટલમાં ઘૂસી ગયા હતા. તબીબ અને અન્ય મેડિકલ સ્ટાફ ઉપર કેરોસીન રેડી હોસ્પિટલને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
રજની હોસ્પિટલના તબીબોએ દાવો કર્યો હતો કે, ગર્ભવતી મહિલાનું સારવાર દરમિયાન બ્લીડિંગ વધુ થઈ ગયું હતું. વધુ પડતાં પ્રમાણમાં લોહી વહી જવાના કારણે મહિલાની સ્થિતિ ગંભીર બની હતી. બાદમાં મહિલાને SVP હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને મહિલાનું રસ્તામાં મોત થયું હતું.
રામોલ પોલીસે સમયસર ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને થાળે પાડી હતી. ઉશ્કેરાયેલા લોકોને કાબૂમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:રાજકોટનું ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ હવે આ નામથી ઓળખાશે, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાશે