નવી દિલ્હીઃ હવામાન વિભાગ દ્વારા આજે રવિવારે Gujarat, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ૧૬ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યારે દિલ્હી-NCRમાં ગઈકાલે શનિવારે સાંજે અચાનક વાતાવરણ બદલાતા આશરે ૭૦ કિ.મી./પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. એટલું જ નહીં સાંજે પાંચ વાગ્યાના સુમારે અંધારું છવાઈ ગયું હતું અને વરસાદ પડ્યો હતો. ખરાબ હવામાનને કારણે દિલ્હી આવતી ૨૭ ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. જયારે ઉત્તર પ્રદેશ (યુપી)ના ૧૧ જિલ્લામાં વરસાદી તોફાન અને વિજળી પડવાના કારણે ૨૬ અને મહારાષ્ટ્રના થાણેમાં ત્રણ વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. દક્ષિણ પશ્ચિમના પવન સાથે ચોમાસું ઝડપથી ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ વધી રહ્યું છે. મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
રવિવારે આ રાજ્યોમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ચોમાસાના અનુમાનથી એક દિવસ વહેલું એટલે કે તા. ૯ જૂનના રોજ મુંબઈમાં દસ્તક આપી ચૂક્યું છે. જે હવે મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ આગળ ધપી રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, બિહાર, કર્ણાટક, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ, આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં વરસાદની શક્યતા છે.
શનિવારે વાવાઝોડાના લીધે કલાકમાં 35 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, શનિવારે વાવઝોડાના કારણે દિલ્હીમાં વિઝીબિલિટી ઘટી ગઈ હતી. જેના લીધે સાંજે પાંચથી છ વાગ્યા દરમિયાન ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરનારી ૩૫ ફ્લાઈટને નજીક એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે એક કલાક પછી હવાઈ વ્યવહાર સામાન્ય થઈ ગયો હતો.
વરસાદના લીધે દિલ્હી-NCRમાં ગરમીનો પારો નીચે ઉતર્યો
શનિવારે અચાનક હવામાનમાં બદલાવ આવતા દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ, મેરઠ, બાગપત અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં તાપમાન ઘટ્યું હતું. છેલ્લા એક સપ્તાહથી આગ ઝરતી ગરમીથી ત્રસ્ત લોકોને થોડી રાહત મળી હતી.
શનિવારે રાજધાની દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન 30 અને વધુમાં વધુ 41.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જે હવામાનમાં ફેરફાર થતાં તાપમાનનો પારો ૩૬ ડિગ્રી પર આવી ગયો હતો.