દિલ્હી: બેંકોના NPA ના મામલે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. રઘુરામ રાજને પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તેમણે કેટલીય હાઈ પ્રોફાઈલ એનપીએ ડિફોલ્ટરોની એક યાદી વડાપ્રધાન કાર્યાલય (PMO)ને આપી હતી, પરંતુ તેના ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે? તે અંગે તેમને કોઈ જાણકારી નથી.
રઘુરામ રાજને બેંકોના વિશાલ નોન પરફોર્મિંગ એસેટ (NPA)ની માટે યુપીએ સરકારને જવાબદાર ગણાવી છે તો મોદી સરકારને પણ કોઈ ક્લીન ચીટ આપી નથી. તેમણે મોદી સરકારની કેટલીય યોજનાઓને પણ એનપીએ વધારનારી ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની આકલન સમિતિએ પૂર્વ ગવર્નરને કમિટીની સમક્ષ હાજર થવા અને બેંકોના એનપીએ અંગે પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહ્યું હતું. કમિટીએ રાજનને પોતાનો પક્ષ પત્ર દ્વારા રજૂ કરવાની છૂટ પણ આપી હતી, આ પછી રઘુરામ રાજને એનપીએ અંગે મુદ્દાસર રીતે લોકસભાની સમિતિને પોતાનો જવાબ આપ્યો હતો.
પીએમ મોદી અથવા મનમોહન, કોને આપી માહિતી?
રાજને કહ્યું કે, તેમણે પીએમઓને ચાર હાઈ પ્રોફાઈલ એનપીએ કેસની યાદી આપી હતી, જે અંગે કોઈ મજબૂત કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આ મામલામાં શું કાર્યવાહી કરવામાં આવી છે, તે અંગે તેમને કોઈ માહિતી નથી. તેમણે કહ્યું હતું કે, આ મામલા અંગે ‘તાત્કાલિક કાર્યવાહી’ કરવાની જરૂરિયાત છે.
જો કે, તેઓએ એ સ્પષ્ટ નથી કર્યું કે, પીએમઓથી તેમનો મતલબ યુપીએ સરકારના પીએમઓથી છે કે પછી એનડીએ સરકારથી છે. કોંગ્રેસ અને બીજેપી બંને તેની પોતાની સુવિધા મુજબ તેનો ઉપયોગ કરી રહ્યા છે.
બીજેપીએ કહ્યું હતું કે, રાજને મનમોહનસિંહ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે, જયારે કોંગ્રેસે તેના જવાબમાં કેટલાય અખબારોના કટિંગ દેખાડ્યા હતા, જેમાં એવા સમાચાર છપાયા હતા કે, રાજને એપ્રિલ ૨૦૧૫માં પીએમ મોદીને પત્ર લખીને ડિફોલ્ટર અંગે માહિતી હતી.