જોધપુર,
રાજસ્થાનના જોધપુર નજીક રવિવારના રોજ ભારતીય વાયુસેનાનું લડાકુ વિમાન મિગ 27 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મિગ 27 યુપીજી વિમાન તેના નિયમિત મિશન માટે ઉડાન પર હતું ત્યારે વિમાન ગોંડાના નજીક શિવગંજના સિરોહીમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જો કે મિગ વિમાનના પાયલટે સમયસર પોતાને ઇજેક્ટ કરી લેતાં તે સુરક્ષિત છે.
મિગ દુર્ઘટનાગ્રસ્ત થયા હોવાનું માલૂમ પડતા વાયુસેનાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને પાયટને બચાવ્યો હતો. વાયુસેનાએ હાલ તો આ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે.
અગાઉ પણ મિગ ક્રેશ થયા હોવાની ઘટના
જણાવી દઇએ કે આ પહેલા પણ 8 માર્ચના રોજ રાજસ્થાનના બીકાનેરમાં લડાકુ વિમાન મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જો કે તે સમયે પણ પાયલટે સમય સૂચકતા દર્શાવતા સુરક્ષિત રીતે કુદી ગયો હતો. એ ઘટના વિશે વાયુસેનાના પ્રવક્તા સોંબિત ઘોષે કહ્યું હતું કે લડાકુ વિમાન મિગ 21 નાલ મથકથી ઉડાન ભર્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.