અસમમાં આજે નેશનલ રજિસ્ટ્રર ઓફ સિટીજન (NRC) નો અંતિમ ડ્રાફ્ટ આજે જાહેર કરવામાં આવશે. જેના કારણે અસમમાં સુરક્ષા વ્યવસ્થાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવધાનીના ભાગરૂપે સીઆરપીએફની ૨૨૦ કંપનીઓને તહેનાત કરવામાં આવી છે. જ્યારે સાત જિલ્લામાં કલમ-૧૪૪ પણ લગાવવામાં આવી છે. જણાવાય રહ્યું છે કે, આ ડ્રાફ્ટથી ખાસ કરીને મુસ્લિમ આબાદીમાં દહેશત ફેલાઈ છે. કારણ કે, બાંગ્લાદેશથી અસમમાં ગેરકાયદેસર રીતે આવેલા મોટાભાગના લોકો મુસ્લિમ સમુદાયના છે.
ડ્રાફ્ટ જાહેર કરતા આગાઉ અસમના પાડોશી રાજ્ય પણ ગેરકાયદે પ્રવાસીઓને લઈને સતર્ક છે. નાગાલેન્ડમાં તો અસમની સાથે જોડાયેલી બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક રાજ્યમાં લિંચિંગની ઘટનાઓને અટકાવવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની પણ દરેક જિલ્લામાં રચના કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે અગાઉથી જ ૨૨ હજાર કેન્દ્રીય પેરામિલિટરી દળ (સીઆરપીએફ)ના જવાનોને અસમમાં મોકલી આપ્યા છે.
બીજી તરફ એનઆરસીને લઈને સૌથી વધુ ભય જો કોઈને હોય તો તે છે મુસ્લિમ સમુદાયને. કારણ કે, વર્ષ-૧૯૭૧ના અગાઉ રાજ્યમાં આવેલા હજારો મુસ્લિમ પરિવારોની પાસે પોતાની ઓળખ માટેના કોઈ દસ્તાવેજો નથી. આવામાં તેમના માથે બાંગ્લાદેશ પરત જવાની તલવાર લટકી રહી છે.
સૌથી મોટી સમસ્યા તો વર્ષ ૧૯૫૧ પછી સીમાપારથી અસમમાં આવેલા લોકો છે. તેનું કારણ એ છે કે, સરકારે વર્ષ-૧૯૫૧ની વસ્તી ગણતરીમાં સામેલ તમામ લોકો અને તેમના વંશજોને એનઆરસીમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ૧૯૫૧ થી ૧૯૭૧ની વચ્ચેના સમયગાળામાં આવેલા લોકોની પાસે જો કોઈ દસ્તાવેજ નહિ હોય તો તેમની મુશ્કેલી વધી શકે છે.
જયારે ભાજપની માટે આ મોટો મુદ્દો છે. ગત વર્ષે ચૂટણીમાં ભાજપે સત્તામાં આવ્યા પાછી અએવા તમામ લોકોને આવા ગેરકાયદે રહેતા લોકોને તગેડી મૂકવા અને બાંગ્લાદેશની સાથે જોડાયેલી સીમાને સીલ કરવાનું વચન આપ્યું હતું.
નાગાલેન્ડમાં તો નાગા સ્ટુડન્ટ ફેડરેશનને અસમથી આવનારા લોકોને બરદાશ ન કરવાની અપીલ પણ લોકોને કરી છે. સાથોસાથ નાગાલેન્ડ સરકારને રાજ્યમાં આવનારા અને જનારા લોકો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.