ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ભાજપના મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો છે. સૌથી પહેલાં અમિત શાહ બીજેપીનું રિપોર્ટ કાર્ડ લઈને ‘સંપર્ક ફોર સમર્થન’ અંતર્ગત ગુરુગ્રામમાં પૂર્વ આર્મી ચીફ દલબીર સિંહ સુહાગના ઘરે પહોંચ્યા હતા.
મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવાના અવસરે સોમવારે સમર્થન માટે ‘સંપર્ક ફોર સમર્થન’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પૂર્વ થલસેના (આર્મી-ભૂમિદળ)ના પ્રમુખ દલબીર સિંહ સુહાગની સાથે મુલાકાત કરીને અમિત શાહે મોદી સરકારની કામિયાબીઓ વહેંચી હતી. સાથોસાથ વર્ષ ૨૦૧૯ની ચૂંટણી માટે બીજેપી અને મોદી સરકારની માટે સમર્થન માંગ્યું હતું.
આંતરે ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કાયદા વિશેષજ્ઞ સુભાષ કશ્યપને પણ સંપર્ક અભિયાન અંતર્ગત મુલાકાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અભિયાન અંતર્ગત બીજેપીના રાષ્ટ્રીય પદાધિકારીઓ દેશના જાણીતા અને પ્રસિદ્ધ લોકોની સાથે સંપર્ક કરશે. જેમાં બ્યુરોક્રેટ્સ, પૂર્વ સેના અધિકારી, વિદ્વાન અને અન્ય ક્ષેત્રોની જાણીતી હસ્તીઓને શામેલ કરવામાં આવ્યા છે. નેતાઓ ખુદ લોકોના ઘરે જશે અને પાર્ટી અને સરકારના કાર્યક્રમો અને યોજનાઓના અંગે તેઓને માહિતી આપીને તેમને માહિતગાર કરવામાં આવશે.
બીજેપીના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓથી લઈને પંચાયતના સદસ્યો સુધીના ચાર હજાર સદસ્યો આગામી 15 દિવસમાં એવા એક લાખ લોકોનો સંપર્ક કરશે જેઓનું તેમના પોતાના ક્ષેત્રમાં મોટું નામ છે. તેમની મુલાકાત કરીને તેઓને મોદી સરકારની ઉપલબ્ધિઓના સંદર્ભમાં જાણકારી આપીને તેમને માહિતગાર કરશે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ખુદ વ્યક્તિગત રીતે ઓછામાં ઓછા ૫૦ લોકોનો આ અભિયાન અંતર્ગત સંપર્ક કરશે.