અમદાવાદ,
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સંવાદદાતાઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે લોકોમાં હજુ પણ એવી ભાવના છે કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરી દેવું જોઈએ. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાના સંકેત આપ્યા છે.
નવા વર્ષના દિવસે તેઓ અમદાવાદ ખાતે આવેલા ભદ્રકાળી મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે તેમના પત્ની અંજલી રૂપાણી પણ હાજર હતા.
આ પહેલા તેમણે ગાંધીનગરના પંચદેવ મહાદેવના દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા અમદાવાદનું નામ બદલવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી પર નિવેદન આપ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, વર્ષોથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગણી ચાલી રહી છે. અમે તેના પર વિચારણા કરી રહ્યા છીએ. નામ બદલવાની કાયદેસરની પ્રક્રિયાથી લઈને અન્ય બાબતો પર વિચારણા કરવામાં આવી રહી છે. અમદાવાદનું નામ ક્યાં સુધીમાં બદલાઈ શકે છે તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે 2019 સુધી આ ફેરફાર થઈ શકે છે.